Corona Virus: આ રીતે મુંબઇ સજ્જ થયું છે કોરોનાવાઇરસ સામે લડવા
મુંબઇનાં રસ્તાઓ પર થઇ રહ્યું છે કોરોના વાઇરસ સ્ક્રિનિંગ - તસવીરઃસુરેશ કેકે
19મી માર્ચે મુંબઇમાં Covid-19નાં બીજા બે પૉઝીટિવ કેસ નોંધાયા છે અને તે સાથે જ મુંબઇમાં કોરોના વાઇરસનાં કેસિઝનો કુલ આંકડો 18એ પહોંચ્યો છે. મુખ્ય મંત્રીની જાહેરાત અનુસાર સરકારી કચેરીઓ 25 ટકા હાજરી સાથે કામ કરશે તથા અનિવાર્ય ચીજ-વસ્તુઓ સિવાયની બધી જ દૂકાનો વગેરે બંધ કરવાની જાહેરાત પણ થઇ ચુકી છે. 31મી માર્ચ સુધી આ સેમિ લોક્ડ ડાઉન જેવો માહોલ રહેશે અને મહારાષ્ટ્ર સરકારે કોરોનાવાઇરસનો પ્રસાર અટકે તે માટે ભીડ એકઠી ન થાય તે અંગેના નિયમોની જાહેરાત પણ કરી છે.
મુંબઇમાં બૃહ્હમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન - BMC કોરોનાવાઇરસનો પ્રસાર અટકાવવા માટે અનિવાર્ય પગલાં લેવાને મામલે કમર કસી છે. જોઇએ મુંબઇ કેવી રીતે સજ્જ છે આ લડાઇ માટે.
મુંબઇનાં અગત્યનાં હેલ્પલાઇન નંબર્સઃ
કોરોનાવાઇસ માટે સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર -+91-11-23978046
મહારાષ્ટ્રમાં કોરોનાવાઇરસ માટે હેલ્પલાઇન નંબર - 020-26127394
BMC ઇમર્જન્સી હેલ્પ લાઇન: 1916
ભારતીય રેલ્વે: 24x7 કંટ્રોલ રૂમ નંબર્સ +91-11-23978046 અથવા ઇમેઇલ : ncov2019@gmail.com
પશ્ચિમ રેલવે : મુંબઇ સેન્ટ્રલ પર જગજીવન રામ હોસ્પિટલમાં ઝોનલ કંટ્રોલરૂમની સગવડ કરાઇ છે અને ત્યાંનાં કોન્ટેક્ટ નંબર્સ આ પ્રમાણે છે. 022- 23080755, 022-67643200, 022-67643300
ઝોન અને JRHનાં મેડિકલ ઑફિસરનો વૉટ્સએપ નંબર - 9004490560
ADVERTISEMENT
મુંબઇની ખાનગી હોસ્પિટલ્સ આ રીતે જોડાઇ છે કોરોનાવાઇરસ સામેની લડતમાં
વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલ આઇસોલેશન ફેસિલિટી ઉપરાંત શહેરની 10 ખાનગી હોસ્પિટલે કુલ 150 આઇસોલેશન બેડ્ઝ તૈયાર રાખ્યા છે જેથી પોઝિટીવ પેશન્ટ્સને દાખલ કરી શકાય. વહીવટી તંત્રના એક અધિકારીએ જણાવ્યું કે સેવન હિલ્સ હોસ્પિટલ ઉપરાંત મ્યુનિસિપલ કેપેસિટી બિલ્ડિંગ એન્ડ રિસર્ચ બિલ્ડિંગ ચાંદિવલીમાં પણ ક્વોરેન્ટાઇન ફેસિલિટી ઉપલ્બધ કરાશે.
મુંબઇમાં 17,000 દુકાનો અને 92 સિવિક માર્કેટ્સ બંધ રહેશે.
મ્યુનિસિપલ કમિશનર પ્રવિણ પરદેસીનાં હુકમ અનુસાર દુકાનો વૈક્લિક દિવસે બંધ રહેશે જેથી ભીડ ટાળી શકાય અને આ જાહેરાત ગુરુવારે વોર્ડ 24નાં અધિકારીઓ દ્વારા કરાઇ હતી. જે રસ્તાની દુકાનો બંધ કરવા આ જાહેરાત થઇ તેમાં દાદર માર્કેટ, બાન્દ્રા લિંકિંગ રોડ, ક્રોફર્ડ માર્કેટ અને મનિષ માર્કેટનો સમાવેશ થાય છે. દાદરમાં ટ્રેડર્સ એસોસિએશને સામે ચાલીને અતિ અનિવાર્ય ન હોય તેવી ચીજોની દુકાનો ગુડી પાડવાના દિવસ સુધી સંપુર્ણ પણે બંધ રાખવાની જાહેરાત કરી અને ઘાટકોપરમાં પણ શનીવાર સુધી તમામ દુકાનો બંધ રહેશે.
ભાગેડુઓ સામે પગલાં
ગૃહમંત્રી અનિલ દેશમુખે મુંબઇ પોલીસને સુચના આપી છે કે કોરોનાવાઇરસ ક્વોરેન્ટાઇન સવલતોમાથી ભાગી જનારા લોકો સામે કડક પગલાં લેવા અને તેમની સામે એપિડેમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવો. સ્ક્રિનિંગ ઑથોરિટીએ આવા લોકોનાં ડાબા હાથે સિક્કાની ચકાસણી કરવાની શરૂઆત કરી છે જેથી આવા ભાગેડુઓ અંગે પોલીસને જાણ કરી શકાય.
રેલવેમાં મુસાફરો ઘટ્યાં
Covid-19નાં ફેલાવાને કારણે રેલવેમાં તથા જાહેર વાહનોમાં મુસાફરી કરનારાઓની સંખ્યા ઉત્તરોઉત્તર ઘટી રહી છે. મુંબઇમાં રોજેરોજનાં મુસાફરોની સંખ્યામાં પ્રતિ દિવસ 10 લાખનો ઘટાડો નોંધાઇ રહ્યો છે.