કોરોના વાઇરસનું સંક્રમણ હવાથી ફેલાતું નથી :જિનિવા
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસનો પ્રકોપ ઝડપથી આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૬.૫૦ લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને ૩૦,૦૦૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. માત્ર ભારતમાં જ કોરોનાના સંક્રમણનો આંકડો ૧૦૦૦ની નજીક પહોંચી ગયો છે અને ૨૦ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. દુનિયાભરની સરકારો બચાવના તમામ ઉપાયો કરી રહી છે. ભારતમાં પણ લૉકડાઉન કરી દીધું છે. જાગૃતતા પણ ફેલાવી રહ્યા છે, પરંતુ સાથોસાથ કેટલાય પ્રકારની અફવાઓ પણ ફેલાવી રહ્યા છે. એક એવી જ અફવા છે કે કોરોના વાઇરસ હવાથી ફેલાય છે જેનું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ખંડન કર્યું છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સ્પષ્ટતા કરી છે કે કોરોના વાઇરસ માત્ર એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા ફેલાય છે. તેમણે કહ્યું કે કોરોના વાઇરસનું સંક્રમણ હવાથી ફેલાતું નથી, એ માત્ર થૂંકના કણોથી જ ફેલાય છે. આ કણ કફ, છીંક અને બોલવાથી શરીરમાંથી બહાર નીકળે છે. થૂંકના કણ એટલા હલકા નથી હોતા જે હવાની સાથે અહીંથી ત્યાં ઊડી જાય. એ ખૂબ જ ઝડપથી જમીન પર પડી જાય છે. - વિશ્વ આરોગ્ય સંસ્થાનો ખુલાસો