આર્થર રોડ જેલના ૭૨ કેદીને કોરોના પૉઝિટિવ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની આર્થર રોડ જેલમાં રસોઇયાના સંપર્કમાં આવતાં ૭૨ કેદીઓને કોરોના થયો છે. મુંબઈ મહાનગરપાલિકાની મદદથી એ તમામ માટે જેલની બહાર ક્વૉરન્ટીન કરવાની ખાસ સુવિધા ઊભી કરાશે એમ રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું છે.
કેદીઓને કોરોનાનો ચેપ ન લાગે એ માટે લૉકડાઉન દરમિયાન રાજ્યની આઠ જેલમાં ખાસ વ્યવસ્થા કરાઈ હતી અને કોઈને પણ અંદરથી બહાર કે બહારથી અંદર જવા દેવાતા નહોતા. એમ છતાં આર્થર રોડ જેલમાં કોરોનાગ્રસ્ત રસોઇયાના સંપર્કમાં આવવાથી કેદીઓ કોરોનાગ્રસ્ત બન્યા હતા.
ADVERTISEMENT
ધારાવીમાં નવા ૫૦ કેસ
મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોવિડ-19 દરદીઓની સંખ્યા ૫૦ નવા પેશન્ટ્સ નોંધાયા બાદ ૭૮૩ પર પહોંચી ગઈ હોવાનું જણાવતાં બીએમસીના વરિષ્ઠ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં ધારાવીમાં ચેપને કારણે ૨૧ લોકોનાં મોત થયાં છે. જોકે ગઈ કાલે કોઈ મોત નોંધાયું નથી.
નવા કેસ રાજીવ ગાંધી નગર, ૬૦ ફુટ રોડ, ટ્રાન્ઝિટ કૅમ્પ, ૯૦ ફુટ રોડ, માટુંગા લેબર કૅમ્પ, કુંભારવાડા, ઇન્દિરાનગર અને ધારાવીના કેટલાક અન્ય વિસ્તારોમાં મળી આવ્યા છે.
બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે ૬૮ વ્યક્તિઓનાં પરીક્ષણનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો તેમ જ ચેપને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
બીએમસીના જી-ઉત્તર વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકરે તમામ લોકપ્રતિનિધિઓ અને સ્થાનિક એનજીઓને કોરોના વાઇરસનાં લક્ષણો ધરાવતા હોય તેવા રહેવાસીઓને તાત્કાલિક ધારાવી મ્યુનિસિપલ સ્કૂલની ક્વૉરન્ટીન સુવિધાનો સંપર્ક કરવા વિનંતી કરી છે.