માતાજીની સ્થાપના કરવા મંદિરમાં ભેગા થયેલા 50માંથી પાંચની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસની ચેઇન તોડી એને ફેલાતો રોકવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસ માટે દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. છતાં લોકો એની ગંભીરતા ન સમજી ટોળામાં ભેગા થઈ એ વધુ ફેલાય એમાં સહભાગી થાય છે. નવરંગપુરા પ્રેસિડન્ટ હોટેલ રોડ પર મણિલાલના કૂવા નજીક જોગણી માતાના મંદિરની સ્થાપના કરવા ૫૦ માણસોનું ટોળું ભેગું થયું હતું. લૉકડાઉનની વચ્ચે મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં નવરંગપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસના જાહેરનામાના ભંગ બદલ ૫૦ લોકો સામે ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી હતી.
નવરંગપુરા પોલીસ પૅટ્રોલિંગમાં હતી ત્યારે વિજય પાર્ક સોસાયટીમાં મણિલાલના કૂવા પાસે જોગણી માતાના મંદિરમાં ૫૦ લોકો ભેગા થયા હતા. પોલીસે પૂછતાં મંદિરનું રિનોવેશન કરાવ્યું હોવાથી માતાજીના સ્થાપના માટે ભેગા થયા હતા. સીઆરપીસી ૧૪૪નું જાહેરનામું હોવા છતાં ભેગા થતાં ૫૦ના ટોળા સામે ગુનો નોંધી કનુ દેસાઈ, સંજય દેસાઈ, લાલા દેસાઈ, જિતુ દેસાઈ અને પરેશ દેસાઈની પોલીસે ધરપકડ કરી હતી.