ગાંધીનગરમાં એન્ટ્રી ગેટ બંધ, 33 પૉઇન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસના કારણે સમગ્ર ગુજરાતને ૩૧ માર્ચ સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના પાટનગરની જો વાત કરવામાં આવે તો ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એન્ટ્રી પૉઇન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ ગાંધીનગરની અંદર પ્રવેશ ન મેળવી શકે એ માટે ગાંધીનગરનો જે મુખ્ય એન્ટ્રી પૉઇન્ટ છે. એટલે કે ૪ સર્કલ ઉપર પોલીસનો ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં ત્રણ જેટલા ડીવાયએસપીને ખાસ પ્રકારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
પોલીસ બંદોબસ્ત વિશે ગાંધીનગરના એસપી મયૂર ચાવડાએ જણાવ્યું કે ગાંધીનગરની જે કુલ ૩૩ એન્ટ્રી પૉઇન્ટ છે એ તમામ એન્ટ્રી પૉઇન્ટ પર ખાસ પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશી ન શકે એ માટે ખાસ સાવચેતી પણ રાખવામાં આવી રહી છે.આ ઉપરાંત ૧૫ જેટલી પોલીસની ટીમ બનાવીને ગાંધીનગરના અલગ-અલગ વિસ્તારમાં પૅટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે જેથી જો કોઈ વ્યક્તિ પોતાની દુકાન ખોલે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર એન્ટ્રીની જો વાત કરવામાં આવે તો તમામ ચાર રસ્તા પર ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ફક્ત સરકારી કર્મચારીઓ છે તેમને અંદર પ્રવેશ આપવામાં આવે છે.