ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોને લઈને વિવાદ
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયત તેમ જ નગરપાલિકાઓની ચૂંટણીઓ જાહેર થતાંની સાથે ચૂંટણીની તારીખોને લઈને વિવાદ ઊઠ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતમાં ૬ મહાનગરપાલિકાની ચૂંટણીનું રિઝલ્ટ, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં જાહેર થશે જેને લઈને કૉન્ગ્રેસે સવાલો ઉઠાવ્યા છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે ગઈ કાલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત ૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે તેમ જ અન્ય સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે તારીખ જાહેર કરી છે. જેમાં ૬ મહાનગરપાલિકાનું પરિણામ પહેલાં જાહેર થાય ત્યાર બાદ જિલ્લા અને તાલુકા પંચાયતોની તેમ જ નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની હોવાથી વિવાદ ઊઠ્યો છે. ગુજરાતની એવી તાસીર રહી છે કે મહાનગરપાલિકાઓમાં બીજેપીનું વર્ચસ્વ રહેતું આવ્યું છે. જો આ છ મહાનગરપાલિકાઓનાં પરિણામ કદાચ બીજેપી તરફી આવે તો જિલ્લા – તાલુકા પંચાયતોની તેમ જ નગરપાલિકાઓની ચૂંટણીમાં મતદાન પર તેની અસર પડી શકે છે અને તેનો લાભ બીજેપીને મળી શકે છે તેવી ભીતી કૉન્ગ્રેસને લાગી રહી છે.
ADVERTISEMENT
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેર થયેલી તારીખોના મુદ્દે ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ચૂંટણી પંચે જાહેર કરેલી જે કોઈ તારીખો છે એ તારીખોને અમે આવકારીએ છીએ, પણ સાથોસાથ મતગણના માટે બીજેપી રમત રમવા જાય છે તે રમતને અમે કાનૂની જવાબ આપીશું. કૉન્ગ્રેસ પક્ષે લોકોની જે મનની વાતો કરનારી સરકાર હતી તેની સામે નાગરિકોનો અવાજ બનીને કામની વાત લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ. અમને જનસમર્થન–જન આશીર્વાદ મળશે તેવી પૂર્ણ આશા છે.
ચાર કરોડથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી છે જેમાં ૪.૦૯ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદે ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ૬ મહાનગરપાલિકા માટે તા. ૨૧ ફેબ્રુઆરીએ મતદાન થશે અને તા. ૨૩ ફેબ્રુઆરીએ મતગણતરી થશે. તા. ૨૮ ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતોની તેમ જ નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન થશે અને તા. ૨ માર્ચે મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીમાં ૯૧,૭૦૦થી વધુ યાંત્રિક મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. આ ચૂંટણી માટે ૪.૦૯ કરોડથી વધુ મતદારો નોંધાયા છે. કુલ ૪૭,૬૯૫ મતદાન મથકો છે, જેમાં પ્રાથમિક અંદાજ મુજબ ૧૧,૦૦૦થી વધુ સંવેદનશીલ અને ૬૦૦૦થી વધુ અતિસંવેદનશીલ મતદાન મથકો છે. આ ચૂંટણી માટે ૨.૮૪ લાખથી વધુ સ્ટાફની નિમણૂક કરાઈ છે. આ ચૂંટણીમાં કુલ ૯૦૪૯ લોકો ચૂંટાઈને આવશે.