સરકાર નવો ટ્રાફિક કાયદો રદ નહીં કરે તો કૉન્ગ્રેસ આંદોલન કરશે : ધાનાણી
પરેશ ધાનાણી
રાજ્ય સરકારે ટ્રાફિકના નવા કાયદાના અમલીકરણ માટે ૧૫ ઑક્ટોબર સુધીની સમયમર્યાદા વધારી છે. ટ્રાફિકના નવા કાયદાનો ચોમેર વિરોધ થઈ રહ્યો છે. દરમિયાન કૉન્ગ્રેસના વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ એક પત્રકાર-પરિષદ સંબોધી સરકાર પર આક્ષેપ કર્યો છે કે સરકારે સાત વિધાનસભાની પેટાચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે આ રાહત આપી છે. ધાનાણીએ કહ્યું કે રાજ્ય સરકાર જ્યાં સુધી ગુજરાતમાંથી આ કાયદો રદ નહીં કરે ત્યાં સુધી કૉન્ગ્રેસ આંદોલન કરશે.
આ પણ વાંચો : રાજ્યમાં ફરી ખાબકશે વરસાદ, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી
ADVERTISEMENT
ધાનાણીએ કહ્યું કે ‘સરકારે રાજકીય લાભ લેવા માટે થોડા સમય માટે રાહત આપી છે. રાજ્યમાં સાત વિધાનસભાની પેટાચૂંટણી હોવાના કારણે થોડા સમય માટે રાહત આપી છે. લગામ વગરની આ સરકાર આર્થિક નિયમનમાં નિષ્ફળ રહી છે. સરકાર પ્રવાસોના ખર્ચા કાઢવા માટે લોકો પાસેથી પૈસા ઉઘરાવવા માગે છે. બહુમતીની આ સરકારને હચમચાવી નાખવાનું કામ દંડથી કંટાળેલા લોકો કરશે. સરકાર ગુજરાતમાં નવો ટ્રાફિક કાયદો રદ નહીં કરે તો કૉન્ગ્રેસ આંદોલન કરશે. કૉન્ગ્રેસ નવો ટ્રાફિક કાયદો રદ કરવા માટે સવિનય કાનૂન ભંગ કરશે. કૉન્ગ્રેસ દ્વારા આગામી દિવસોમાં પણ તાલુકા અને જિલ્લા મથકો પર વિરોધ કરવામાં આવશે. ’