અમદાવાદમાં નાગરિકતા કાયદો: કૉંગ્રેસના કૉર્પોરેટર શહેઝાદ પઠાણની પણ ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધ પ્રદર્શન વચ્ચે ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. આ મામલે ઇસનપુર પોલીસ ફરિયાદી બની છે. ઇસનપુર પોલીસે પાંચ હજાર લોકોનાં ટોળાં સામે ફરિયાદ નોંધી છે, જેની અંદર પોલીસ ફરજમાં રુકાવટ, રાયટિંગ, હત્યાનો પ્રયાસ સહિતની કલમો ઉમેરવામાં આવી છે. શાહઆલમ પથ્થરમારા મામલે કૉન્ગ્રેસના કૉર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ ઉર્ફે સનીબાબા સહિત ૫૦ શખ્સોની ધરપકડ કરી છે. આજે શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં ગુરુવારની સાંજે ફાટી નીકળેલી હિંસામાં ૨૧ જેટલા પોલીસ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી પોલીસને ટાર્ગેટ કરી પથ્થરમારો કરાયો હતો અને ભીડ દ્વારા એક પોલીસને ખેંચી જઈ માર મારવામાં આવ્યો હતો. અમદાવાદમાં થયેલી આ હિંસા બાદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. ઇસનપુર પોલીસ-સ્ટેશનનાં પીઆઇ જે. એમ. સોલંકી આ મામલે ફરિયાદી બન્યા છે.
આ દેખાવો મામલે પોલીસ અન્ય આરોપીઓની વિડિયો ફુટેજના આધારે તપાસ કરશે. પોલીસે કલમ ૩૦૭, ૩૩૭, ૩૩૩, ૧૪૩, ૧૪૫, ૧૪૭, ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૮૮, ૧૨૦ બી, ૩૪ તથા પબ્લિક પ્રૉપર્ટી કલમ ૩ અને ૭ તથા જીપી એકટ ૧૩૫(૧) મુજબ ફરિયાદ દાખલ કરી છે જેમાં હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમાં રુકાવટ, ષડયંત્ર રચી જીવલેણ હુમલો કરવો, ગેરકાયદે મંડળી રચી ગુનાને અંજામ આપવો અને રાયટિંગની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. તો આ મામલે પોલીસે કૉન્ગ્રેસના કૉર્પોરેટર શહેજાદ ખાન સહિ ૪૯ આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીનાં અસામાજિક તત્ત્વોને પકડી પાડવા માટે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
આજે પણ પોલીસ તોફાનગ્રસ્ત વિસ્તારમાં પૅટ્રોલિંગ કરી રહી છે. તેમ જ પોલીસ વડાએ વધુ બે એસઆરપી કંપની ફાળવી દીધી છે. પોલીસ જવાનો હેલ્મેટ અને બૉડી પ્રોટેક્ટર સાથે તહેનાત છે.