દેશ શહીદોના શબના ટુકડા વીણતો'તો, મોદી ચા-નાસ્તો કરતા'તા: કોંગ્રેસ
રણદીપ સુરજેવાલા (ફાઇલ ફોટો)
કોંગ્રેસે ગુરૂવારે પુલવામા હુમલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે હુમલાના સમયે મોદી જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં ડિસ્કવરી ચેનલના પ્રમુખ સાથે મગર સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા. શહીદોના અપમાનનું જે ઉદાહરણ મોદીએ રજૂ કર્યું એવું આખી દુનિયામાં ક્યાંય જોવા નથી મળ્યું. જ્યારે દેશ શહીદોના શબના ટુકડા ભેગા કરી રહ્યો હતો, ત્યારે મોદી ચા-નાસ્તો કરી રહ્યા હતા.
આ પણ વાંચો: મોદી બાદ હવે પ્રિયંકા ગાંધીના ફોટાવાળી સાડી
ADVERTISEMENT
સુરજેવાલાના જણાવ્યા પ્રમાણે, "દિવસભર કોર્બેટ પાર્કમાં ફર્યા પછી ગુરૂવારે સાંજે પોણા સાત વાગે તેમનો કાફલો ધનગઢી ગેટથી નીકળ્યો. આ જ દિવસે બપોરે 3.10 વાગે હુમલો થયો. મોદીએ ત્યાંના અધિકારીઓ સાથે ચર્ચા કરી. જેવો ધનગઢી ગેટથી તેમનો કાફલો નીકળ્યો, લોકોએ મોદી ઝિંદાબાદના નારા લગાવ્યા. દેશ આપણા શહીદોના ટુકડાઓ વીણી રહ્યો હતો અને વડાપ્રધાન પોતાના નામના નારા લગાવડાવી રહ્યા હતા. આખા દેશના ચૂલા બંધ હતા અને વડાપ્રધાન 7 વાગે ચા-નાસ્તાનો આનંદ લઈ રહ્યા હતા. આનાથી વધુ અમાનવીય વ્યવહાર કોઈ વડાપ્રધાનનો ન હોઈ શકે.