કોંગ્રેસની છુટ્ટા હાથે વચનોની લહાણી
ADVERTISEMENT
ગઈ કાલે દિલ્હીના રામલીલા મેદાનમાં કૉન્ગ્રેસ દ્વારા વિશાળ રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં હજારો કાર્યકરો સહિત પક્ષના પ્રધાનો, વડા પ્રધાન મનમોહન સિંહ તેમ જ કૉન્ગ્રેસ પ્રેસિડન્ટ સોનિયા ગાંધી અને જનરલ સેક્રેટરી રાહુલ ગાંધીએ હાજરી આપી હતી. કૉન્ગ્રેસ દ્વારા ૨૦૧૪માં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીનું પ્રૉમિસ
કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી રાહુલ ગાંધીએ આ રૅલીમાં પ્રૉમિસ આપ્યું છે કે આગામી મહિનાઓમાં સંસદમાં તેમનો પક્ષ લોકપાલ બિલ પાસ કરાવી દેશે. તેમણે પહેલાં આ બિલનો વિરોધ કરનારા વિરોધ પક્ષની ટીકા કરી હતી. ગઈ કાલે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ૬૮ બેઠકો માટેની ચૂંટણીનું મતદાન હતું ત્યારે જ આ રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શને કૉન્ગ્રેસ પ્રેસિડન્ટ સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રા અને નવા એક્સ્ટર્નલ અફેર્સ મિનિસ્ટર સલમાન ખુરશીદ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. આ સિવાય કોલસાકૌભાંડથી લઈને જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીએ કરેલા લેટેસ્ટ આક્ષેપોને લઈને કૉન્ગ્રેસ ચારે તરફથી ઘેરાયેલી છે ત્યારે આ રૅલી દ્વારા કૉન્ગ્રેસે પોતાનું શક્તિપ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો છે. ૯ નવેમ્બરથી હરિયાણાના સૂરજકુંડમાં કૉન્ગ્રેસની એક દિવસની ચિંતન શિબિર યોજાવાની છે જેમાં પક્ષના ટોચના નેતા અને કાર્યકરો ભેગા થઈને ભવિષ્યની રણનીતિ નક્કી કરશે.
મનમોહનની બાંયધરી
વિરોધ પક્ષો યુપીએ સરકારના નીતિવિષયક નિર્ણયો વિશે અફવા ફેલાવતા હોવાનો આરોપ મૂકીને વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે રામલીલા મેદાનમાં યોજાયેલી રૅલીમાં ખાતરી આપી હતી કે મલ્ટિ-બૅન્ડ રીટેલિંગમાં એફડીઆઇને કારણે કૉમન મૅનને ફાયદો જ થશે અને એને કારણે નોકરીની ભરપૂર તકો ઊભી થશે. તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ અને સરકાર ભારતને સમૃદ્ધ બનાવવા માગે છે, પણ આ લક્ષ્યાંકને પાર પાડવા માટે ભારતના લોકોએ લાંબું અંતર કાપવા માટે તૈયાર રહેવું પડશે. જો અમારે દેશના ફાયદા માટે કેટલીક નીતિઓમાં ફેરબદલ કરવો પડશે તો અમે એ ચોક્કસ કરીશું. મલ્ટિ-બ્રૅન્ડ રીટેલિંગમાં એફડીઆઇને કારણે ખેડૂતોને નુકસાન થશે એ વાત સાવ ખોટી છે. આના કારણે બધાને ફાયદો થશે. ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય કિંમત મળશે અને નોકરીઓની નવી તકો ઊભી થશે. સમાજમાં વધારે નોકરીઓનું સર્જન કરવા માટે નીતિગત માળખામાં ફેરફાર કરવાની જરૂર છે અને એ માટે સરકાર જે પગલાં લઈ રહી છે એના વિશે લોકોને ખોટી માહિતી આપવામાં આવી રહી છે.’
સોનિયાનાં તીખાં તેવર
ગઈ કાલે રામલીલા મેદાનમાં યોજાયેલી કૉન્ગ્રેસની રૅલીમાં કૉન્ગ્રેસનાં પ્રેસિડન્ટ સોનિયા ગાંધીએ તેમની લાક્ષણિક શાંત મુદ્રા પડતી મૂકીને તીખાં તેવર બતાવ્યાં હતાં અને વિરોધ પક્ષો પર આરોપ મૂક્યો હતો કે તેઓ સરકારને નુકસાન પહોંચાડવા માટે લોકશાહીને નબળી પાડી રહ્યા છે અને લોકોને ખોટી માહિતી પહોંચાડી રહ્યા છે. તેમણે ભ્રષ્ટાચાર વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ એક એવું કૅન્સર છે જેની સૌથી વધારે અસર ગરીબો પર થાય છે. તેમણે ટોણો મારતાં કહ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષોને આજે પણ એ વાત સ્વીકારવામાં તકલીફ પડે છે કે લોકોએ ૨૦૦૪ અને ૨૦૦૯માં યુપીએ સરકારને બહુમત આપ્યો છે અને આ કારણે જ વિરોધ પક્ષ બેવડું વ્યક્તિત્વ દેખાડીને સંસદમાં કોઈ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર જ નથી થતો. સોનિયાએ સણસણતો સવાલ કરતાં કહ્યું હતું કે ‘હું સરકારની ટીકા કરતા પક્ષોને પૂછવા માગું છું કે તમે ક્યારેય એવી સરકાર ચલાવી છે જેણે દેશના આધુનિક અને ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા ક્રાન્તિકારી પગલાં લીધાં હોય?’