કો-વિન ઍપ પણ લૉન્ચ કરશે
કો-વિન ઍપ પણ લૉન્ચ કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૬ જાન્યુઆરીએ દેશમાં કોરોના વૅક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત કરવાના છે. આ સાથે પીએમ મોદી દ્વારા કો-વિન ઍપને પણ લૉન્ચ કરવામાં આવશે. દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના વાઇરસની વિરુદ્ધ રસીકરણનું મહાઅભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. સૂત્રોનું માનીએ તો પીએમ મોદી આ અભિયાનને વર્ચ્યુઅલ રીતે શરૂ કરી શકે છે. આ સમયગાળા દરમિયાન દેશનાં જુદાં-જુદાં રાજ્યોમાં એકસાથે રસીકરણ શરૂ કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે જેમને કોરોના રસી આપવામાં આવશે, તેમને બે ડોઝ આપવાના છે. દરેક વ્યક્તિએ પોતાની નોંધણી કરાવી લેવાની રહેશે. આ પછી તારીખ, સ્થાન અને અન્ય માહિતી કો-વિન ઍપ્લિકેશન દ્વારા આવશે. બન્ને ડોઝ પછી પ્રમાણપત્ર પણ વ્યક્તિના ફોન પર આવશે. જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો લોકનારાયણ જયપ્રકાશ હૉસ્પિટલમાં રસીકરણનું અભિયાન શરૂ થશે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.