દલિતોનો બહિષ્કાર નહીં ચલાવી લેવાય, સરકાર કડક પગલાં લેશે : સીએમ રૂપાણી
વિજય રૂપાણી (File Photo)
કડી તાલુકાના લ્હોર ગામે કડી તાલુકાના દલિત પરિવારના લગ્નપ્રસંગે વરઘોડો કાઢવા મામલે ગામના સરપંચની આગેવાનીમાં ગ્રામજનોએ બેઠક કરી હતી અને દલિત સમાજનો બહિષ્કાર કરી દલિત પરિવારોને અનાજ, કરિયાણું, દૂધ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એે વિશે દલિત સમાજમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. આ મામલે અત્યાચારનો ભોગ બનેલા પરિવારે અંતે પોલીસ મદદ માગી બાવલુ પોલીસ મથકે સરપંચ સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં તેમની ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે આ પ્રકારનો બહિષ્કાર ચલાવી લેવામાં નહીં આવે અને સરકાર કડક પગલાં ભરશે એવી ખાતરી પણ આપી હતી. દલિત સમાજના યુવકે કાઢેલા વરઘોડાના પ્રશ્ન પર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ કોઈ પણ પ્રકારે ચલાવી લેવામાં નહીં આવે. સરકાર સ્પક્ટ છે કોઈ પણ દલિત હોય કે અન્ય કોઈ પણ સમાજના હોય; તે પોતાના પ્રસંગો આનંદથી ઉજવે, ઘોડા પર બેસીને જાય, વરઘોડો પણ કાઢે. કોઈ પણ પ્રકારની સામાજિક વિસંવાદિતતા સરકાર ચલાવવા માગતી નથી. કડી પાસેના ગામમાં જે ઘટના બની છે એ બાબતે સરકારે ગઈ કાલથી જ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. ધરપકડો પણ કરી છે અને કોઈ સામાજિક બહિષ્કાર સરકાર ચલાવવા દેશે નહીં. દલિતો માટે સરકારની પૂર્ણરૂપે સહાનુભૂતિ છે. એ માટે સરકાર કડકમાં કડક પગલાં લેશે અને લઈ રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કડીઃ દલિત યુવકને ઘોડી પર બેસાડતા 40 પરિવારનો સામાજિક બહિષ્કાર
તો ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ લ્હોર ગામે સમાધાન કરવા પહોંચ્યા હતા. તેમની કલાકોની સમજાવટ બાદ પણ સમાધાન થયું નથી. નીતિન પટેલે જણાવ્યું કે ગુરુવારે આ બનાવ સરકારના ધ્યાનમાં આવ્યો હતો. તાત્કાલિક અસરથી કલેક્ટર સહિત તમામ લોકોને જાણ કરવામાં આવી હતી. દલિતોએ જેમની સામે ફરિયાદ દાખલ કરી છે તે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે પાંચેય લોકો જેલ હવાલે છે. ગુરુવારે રાત્રે મારા ધ્યાનમાં આ બનાવ આવતાં હું બપોરથી અહીં આવ્યો છું. મેં દોઢ કલાક સુધી ગામના તમામ વર્ગો સાથે ચર્ચા કરી છે.