CM રૂપાણીની જાહેરાત,4 મહાનાગરોમાં ઇન્ફેક્શન કન્ટ્રોલ હૉસ્પિટલ ઉભી કરાશે
વિજય રૂપાણી (ફાઇલ ફોટો)
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોના વાયરસની સમીક્ષા કરતા તેઓ અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. કોરોના વાયરસ સામે લડવા માટે રાજ્યની તૈયારીઓ વિશેની માહિતી આપી. સિવિલ હૉસ્પિટલમાં કોરોના માટે બેડ વધારવાની સગવડ કરવામાં આવશે. આઇસોલેશનના બેડ ઉપલબ્ધ છે તે નવી સિવિલ હૉસ્પિટલના 1200 બેડ પર ફક્ત કોરોનાના દરદીઓની સારવાર થશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ઇન્ફેક્શન કન્ટ્રોલ હૉસ્પિટલ ઉભી કરવામાં આવશે.
વિદેશથી આવેલા લોકો બહાર ન નીકળે તેવી અપીલ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું, "જે લોકો વિદેશથી આવ્યા છે તે લોકો મહેરબાની કરીને 14 દિવસ સુધી ઘરની બહાર ન નીકળે, ઘરમાં રહે અને સરકારને સાથ આપે. ક્વૉરન્ટાઇન કરાયેલા લોકો ભાગે નહીં બાકી સરકાર કેસ કરશે. વિદેશથી આવેલા લોકોની પણ સઘન તપાસ કરીશું."
ADVERTISEMENT
રાજ્યમાં અત્યાર સુધી 14 પૉઝિટીવ કેસ
ઘાતક કોરોના વાઇરસના કેસ દેશની સાથે સાથે હવે ગુજરાતમાં પણ વધી રહ્યા છે. નીતિન પટેલએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોનાના પૉઝિટીવ કેસનો આંકડો વધીને 14 પર પહોંચ્યો છે.
કોરોનાને કારણે ગુજરાત બંધ હોવાથી શહેરો, બજારો અને રસ્તાઓ ખાલીખમ, 80 ટકા કામકાજ બંધ
રાજ્યમાં કોરોનાના 14 કેસ પૉઝિટીવ આવી ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધી આંકડો 300 પાર પહોંચ્યો છે. જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચ 2020ના રોજ જનતા કર્ફ્યૂ રાખવા અપીલ કરી છે. રાજ્યમાં 19 માર્ચે 2 અને 20 માર્ચે 5 કેસ પૉઝિટીવ આવ્યા બાદ આ આંકડો 7 વટાવી ચૂક્યો હતો અને આજે આ આંકડો 14 પર પહોંચ્યો છે. જેને કારણે ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યની બજાર, સહિત 80 ટકા જેટલું કામકાજ ઠપ્પ થઈ ગયું છે. પાનનાં ગલ્લાંથી લઈને મોલ, કાપડ માર્કેટ, ચીની કીટલીઓ સુદ્ધા બંધ જોવા મળી રહી છે. એટલું જ નહીં સુરતમાં હિરો ઉદ્યોગ પણ બંધ કરવામાં આવ્યું છે. લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગોંડલ માર્કેટિંગ યાર્ડ 22 માર્ચથી 2 એપ્રિલ સુધી બંધ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે.