પંજાબમાં પોલીસ રાતે મહિલાઓને ઘર સુધી મૂકી જશે : મુખ્ય પ્રધાનની જાહેરાત
અમરિન્દર સિંહ
હૈદરાબાદમાં વેટરિનરી ડૉક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા બાદ દેશની દીકરીઓની સુરક્ષાને લઈને સવાલ ઊઠી રહ્યા છે. આ ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એની વચ્ચે અલગ-અલગ રાજ્યોનું પ્રશાસન મહિલાઓની સુરક્ષા માટે અલગ-અલગ જાહેરાત કરી રહ્યું છે. હવે પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે રાજ્યની મહિલાઓની સુરક્ષા માટે મોટી જાહેરાત કરી છે.
આ પણ વાંચો : અમારા ઑર્બિટરે જ વિક્રમ લૅન્ડરને શોધ્યું હતું : ઇસરો
ADVERTISEMENT
મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે મહિલા માટે પોલીસ મદદની જાહેરાત કરતાં કહ્યું કે જો કોઈ મહિલા રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યાની વચ્ચે કોઈક જગ્યાએ ફસાઈ જાય તો તે પોલીસને કૉલ કરીને જાણ કરે અને પોલીસ તેમને સુરક્ષાપૂર્વક ઘર સુધી મૂકી જશે. તેના અંતર્ગત એક સુવિધાની પણ જાહેરાત કરવામાં આવી છે જેના દ્વારા રાજ્યભરની મહિલાઓ ૧૦૦, ૧૧૨ અને ૧૮૧ નંબર પર કૉલ કરી શકશે અને તેના દ્વારા તે તરત પોલીસ કન્ટ્રોલ રૂમ (પીસીઆર) સાથે જોડાઈ શકશે.