દિલ્હીની તીસહજારી કોર્ટમાં હંગામોઃ પોલીસ અને વકીલો વચ્ચે હિંસક સંઘર્ષ
તીસહજારી કોર્ટમાં હંગામો
તીસહજારી કૉર્ટ પરિસરમાં દિલ્હી પોલીસ અને વકીલોની વચ્ચે ઝપાઝપીના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્કિંગ વિવાદને લઈને હંગામો થયો છે. પોલીસની કેટલીક ગાડીઓને સળગાવી દેવામાં આવી છે. આ દરમ્યાન ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોવાના સમાચાર છે. કવરેજ માટે ગયેલા કેટલાક પત્રકારોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટનામાં એક વકીલ ઘાયલ થયો છે, જેને સેન્ટ સ્ટીફન હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.
પોલીસ અને વકીલો વચ્ચેના આ ઝઘડા બાદ પરિસરમાં તણાવનો માહોલ છે. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક પોલીસ અધિકારીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેદીઓની એક ગાડીને પણ આગને હવાલે કરી દેવામાં આવી છે. આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસનું કહેવું છે કે ‘ફાયરિંગ જેવી કોઈ ઘટના નથી બની. પોલીસની ગાડી જરૂર સળગાવવામાં આવી છે. બબાલ કઈ વાત પર થઈ તેની તપાસ ચાલુ છે.’ મળતી માહિતી મુજબ લૉકઅપની બહાર ત્રીજી બટાલિયનની પોલીસ અને વકીલોની વચ્ચે ઝઘડો થયો. ત્રીજી બટાલિયનની પોલીસ કેદીઓને કોર્ટ લાવવા અને લઈ જવાનું કામ કરે છે. એ પણ સૂચના મળી છે કે પાર્કિંગને લઈને ઝઘડો થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે પીસીઆર વાનમાં પણ આગ લગાવવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ફાયરિંગ અને પોતાના સાથી વિજય શર્માને ગોળી લાગ્યા બાદ ગુસ્સામાં આવેલા વકીલોએ હંગામો શરૂ કરી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ઘણી ગાડીઓમાં આગ લગાવવાની સાથે જ પોલીસના કેટલાક અધિકારીઓની પણ ધોલાઈ કરી છે. સ્થિતિ એ થઈ કે તીસહજારી કોર્ટ પરિસરમાં જે પણ પોલીસવાળો જોવા મળ્યો તેને વકીલોએ માર માર્યો.