ચીને ભારતીય જમીન પર કર્યો છે ગેરકાયદે કબજો: રાજનાથ સિંહ
સંસદના ચોમાસુસત્ર દરમ્યાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે મંગળવારે જણાવ્યું હતું કે ભારત-ચીન સરહદ મામલે ચાલી રહેલી તંગદિલી સંદર્ભે ભારત કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે.
હું તમને ખાતરી આપું છું કે આપણે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા સજ્જ છીએ. હું આ ગૃહને એ ઠરાવ પસાર કરવાની વિનંતી કરું છું કે આપણે ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે આપણી સરહદોનું રક્ષણ કરી રહેલાં આપણાં સશસ્ત્ર દળોની સાથે આપણે ખભેખભો મિલાવીને ઊભા રહીએ, એમ સિંહે લોકસભામાં જણાવ્યું હતું.
ADVERTISEMENT
ભારત અને ચીનની સરહદનો પ્રશ્ન વણઉકેલ્યો રહ્યો છે. હજી સુધી આ મામલે પરસ્પર સ્વીકાર્ય હોય એવો કોઈ ઉકેલ આવ્યો નથી. ચીન સરહદના પ્રશ્ને સંમત થતું નથી. ચીન સરહદના પરંપરાગત અને રૂઢિગત સંરેખણનો સ્વીકાર કરતું નથી. આપણે માનીએ છીએ કે આ સંરેખણ સુયોગ્ય પ્રસ્થાપિત ભૌગોલિક સિદ્ધાંતો પર આધારિત છે. ચીને સ્ટેટસ બદલવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આપણા જવાનોએ એને અસફળ બનાવ્યો છે. ચીને આપણી જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે, પરંતુ આપણે તમામ પરિસ્થિતિને જવાબ આપવા તત્પર છીએ, એમ સિંહે જણાવ્યું હતું.