રાજ્યસભાની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગના ચાવડાના ઇશારાથી રાજકારણમાં ભૂકંપ
પ્રતીકાત્મક તસવીર
૧૯મી જૂનના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય હલચલ ચરમસીમાએ પહોંચી છે. બીજેપી-કૉન્ગ્રેસ હાલ દરરોજ રણનીતિ બદલી રહ્યા છે અને સામસામે રાજકીય દાવ અજમાવે છે ત્યારે બીજેપીના કોઈ સભ્ય ક્રોસ વોટિંગ કરે કે તેનો વોટ કેન્સલ થઈ શકે છે તેવો ગર્ભિત ઈશારો ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કર્યો છે. તેમના આ નિવેદનથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે આગામી રાજ્યસભાની ચૂંટણીને લઈ કૉન્ગ્રેસનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે. કૉન્ગ્રેસપ્રમુખ અમિત ચાવડાનું ફરી એક વાર આજે આશ્ચર્યજનક નિવેદન આવ્યું છે. તેમણે બીજેપીમાંથી ક્રોસ વોટિંગ થાય તેવો ઇશારો કરીને રાજકીય ભૂકંપ લાવી દીધો છે. રાજ્યસભાની ચૂંટણીમાં વોટિંગને લઈને જણાવ્યું કે બીજેપીના કોઈ સભ્યનો વોટ કેન્સલ થઈ શકે તેવા ચાવડાના ગર્ભિત ઇશારાથી બીજેપીમાં ખલબલી મચેલી છે.
તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળને આપણે જોવો જોઈએ. ભૂતકાળમાં પણ બીજેપીના દિગ્ગજ નેતાનો વોટ કેન્સલ થયો છે. આર. સી. ફળદુનો મત રાજ્યસભામાં કેન્સલ થયો હતો. રાજ્યસભાની ચૂંટણીને લઈ દરરોજ રણનીતિ બદલાય છે. આવનારા દિવસોમાં ઘણુંબધું થઈ શકે છે. ગઈ કાલે પણ અમિત ચાવડાએ સરકારને ઘેરી હતી. કૉન્ગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરી અને રાજ્યસભાની ચૂંટણીને લઈ આક્ષેપ કર્યો હતો કે ખરીદ-વેચાણ સંઘ કરી અમારા ધારાસભ્યોને ખરીદ્યા, ૩ ઉમેદવાર જીતે તેવું સંખ્યાબળ ન હોવા છતાં ઊભા રાખ્યા ત્યારે હજુ અમારી પાસે ૨ બેઠકો જીતે તેવું પૂરતું સંખ્યાબળ છે ત્યારે બીજેપી હવે કોઈને ખરીદી શકે તેમ નથી. હવે પોલીસ અને મશીનરીનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યોને ધમકાવતા હોવાની વાત કરી હતી.