અન્વય નાઈક કેસ : ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરાશે : અનિલ દેશમુખ
અનિલ દેશમુખ
આર્કિટેક્ટ અને ઇન્ન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાઈકના આપઘાતના કેસમાં ટૂંક સમયમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવનાર હોવાનું મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગઈ કાલે જણાવ્યું હતું. ૨૦૧૮માં અન્વય નાઈક અને તેમનાં માતાને આપઘાત માટે મજબૂર કરવાના આરોપસર કરવામાં આવેલા કેસમાં પત્રકાર અર્નબ ગોસ્વામી તથા અન્ય બે જણને આરોપી બનાવવામાં આવ્યા છે.
અનિલ દેશમુખે ગઈ કાલે પત્રકારોને જણાવ્યું હતું કે ‘અદાલતની પરવાનગી પછી અન્વય નાઈક કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. એ કેસમાં અર્નબ ગોસ્વામી પણ આરોપી છે. ટૂંક સમયમાં એ કેસમાં ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવશે.’
ADVERTISEMENT
સર્વોચ્ચ અદાલતે આ કેસમાં અર્નબ ગોસ્વામી તથા અન્ય બે જણના વચગાળાના જામીનની મુદત વધુ ચાર અઠવાડિયાં લંબાવ્યાં પછીના દિવસે અનિલ દેશમુખના આ નિવેદનને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
સર્વોચ્ચ અદાલતે ગયા શુક્રવારે અર્નબ અને અન્ય બે જણના વચગાળાના જામીનની મુદત લંબાવતાં જણાવ્યું હતું કે ‘ફોજદારી કાયદા કિન્નાખોરીપૂર્વક હેરાનગતિનાં સાધનો ન બને એની કાળજી ન્યાયતંત્રે રાખવાની છે. અર્નબ ગોસ્વામી તથા અન્ય બે જણ સામેના એફઆઇઆરમાં તેમણે અન્વય નાઈકને આત્મહત્યા માટે ઉશ્કેર્યા એવી ભૂમિકા જણાતી નથી.’
આ કેસમાં અલીબાગ પોલીસે ચોથી નવેમ્બરે અર્નબ ગોસ્વામી, નીતિશ સારડા અને ફિરોઝ મોહમ્મદ શેખની ધરપકડ કરી હતી.