રોગચાળા વચ્ચે બદલીઓથી સરકારી અમલદારોમાં નારાજગી ફેલાશે : બીજેપી
પ્રતીકાત્મક તસવીર
કોરોના રોગચાળાના માહોલમાં ઉપરાઉપરી ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ અને મ્યુનિસિપલ કમિશનર્સની બદલીઓ કરવાને કારણે રાજ્યના સરકારી અમલદારોની હિંમત તૂટી જવાની શક્યતા બીજેપીના નેતા પ્રવીણ દરેકરે દર્શાવી હતી. ગઈ કાલે નવી મુંબઈની મુલાકાત દરમ્યાન વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા પ્રવીણ દરેકરે સ્થાનિક મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ચર્ચા કરીને એ શહેરમાં રોગચાળાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
પ્રવીણ દરેકરે જણાવ્યું હતું કે ‘અચાનક આડેધડ બદલીઓ કરવી અયોગ્ય છે. સરકારના કોઈ પણ અમલદાર, અધિકારી કે કર્મચારી કોઈ પણ હોદ્દો સંભાળે ત્યારે તેને એ વિસ્તાર, સ્થાનિક લોકો અને સ્થાનિક પરિસ્થિતિ તથા કામગીરી સમજીને ગોઠવાતાં વાર લાગે છે. જે રીતે સરકારી અમલદારોની બદલીઓ કરવામાં આવે છે એ રીતે જ્યાં રોગચાળો નિરંકુશ બન્યો હોય એ જિલ્લા કે શહેરના પાલકપ્રધાન બદલી નાખવામાં આવે છે.’ રોગચાળો શરૂ થયા પછી પ્રવીણ પરદેશીને મુંબઈના મ્યુનિસિપલ કમિશનરના હોદ્દા પરથી હટાવીને તેમની જગ્યાએ ઇકબાલસિંહ ચહલને લાવ્યા બાદ ગયા અઠવાડિયે નવી મુંબઈ, ઉલ્હાસનગર અને મીરા-ભાઈંદર મહાનગરપાલિકાઓના કમિશનર પણ બદલાયા હતા.