અપનાવો, ચાણક્ય અને બીરબલ: એક જીવનમાં શ્રેષ્ઠ તો બીજા કરીઅર માટે બેસ્ટ
ચાણક્ય
સૌકોઈને ખબર છે કે અકબરને જ્યારે પણ મૂંઝવણ થતી ત્યારે તે બીરબલને યાદ કરતા. બીરબલ તેમની મૂંઝવણનો હાથવગો અને સચોટ ઇલાજ હતો. અકબર અને બીરબલની આ જોડીને સૌકોઈએ હંમેશાં યાદ રાખવી જોઈએ અને આ જોડીમાંથી એ સમજવાની કોશિશ કરવી જોઈએ કે તમારી આજુબાજુમાં કેવી વ્યક્તિઓ રહેવી જોઈએ. અકબરની નજીક બીરબલ હતો, એક એવો માણસ કે જેની પાસે તમામ પ્રકારની સમસ્યાનું નિરકારણ હતું તો તમામ પ્રકારની ચિંતાઓ માટે વાજબી જવાબ પણ રહેતો. નાસીપાસ થયેલા લોકો માટે બીરબલ જીવાદોરી બનીને રહેતો તો બાદશાહ અકબર જ્યારે પણ ખુશીના ઉન્માદમાં આવી જતા ત્યારે તેમને વાસ્તવિકતાનું ભાન કરાવવા માટે પણ બીરબલ હાજર રહેતો. સુખમાં છકી ન જવું અને દુઃખમાં તૂટી ન જવું એ સમજાવનારું જો બાજુમાં કોઈ હોય તો જીવનના તમામ રંગો વચ્ચે પણ જિંદગી હસતી રહેતી હોય છે અને આંખ વાસ્તવિકતા પર, પગ જમીન પર ટકેલા રહે છે. આ કામમાં માહેર એવા બીરબલને જીવનમાં સ્થાન આપવાની ફરજ સૌકોઈની છે અને એ ફરજ નિભાવતી વખતે જો કોઈ વખત, અકસ્માતે કોઈ વખત બીરબલથી ભૂલ થઈ પણ જાય તો એ ભૂલને નજરઅંદાઝ કરીને બીરબલનું સ્થાન જીવનમાં અકબંધ રાખવું જોઈએ.
ચાણક્ય પછીનું ઇતિહાસનું બીજું કોઈ એક પાત્ર મને ગમતું હોય તો તે આ બીરબલ છે અને એટલે જ બીરબલ વિશે વધુમાં વધુ વાંચવાની અને વાંચ્યા પછી ખણખોદ કરવાના પ્રયાસ કર્યા છે. આ પ્રયાસ પછી જ ખબર પડી છે કે બીરબલ મહત્ત્વનો છે, બીરબલનું સ્થાન નહીં. જરાય જરૂરી નથી હોતું કે બીરબલ તમારો જુનિયર જ હોય કે પછી બીરબલ તમારી સાથે કામમાં જ જોડાયેલો હોય. બને કે બીરબલ તમારો મિત્ર હોય, બને કે બીરબલ તમારો કે પછી તમારી જીવનસાથી હોય, બની શકે કે બીરબલ તમારા પાડોશીના રૂપમાં હોય અને એ પણ બની શકે કે બીરબલ તમારો સિક્યૉરિટી ગાર્ડ કે વૉચમૅન પણ હોય. બીરબલ હોય એટલું બસ છે. હાજર જવાબી, ઉત્તમ નિર્દેશક અને નિષ્ણાત માર્ગદર્શકની ભૂમિકા ઇતિહાસમાં બીરબલ સિવાય અન્ય કોઈએ ભજવી નથી. અકબર અને બીરબલને જો બાળવાર્તામાં સમાવી લેવામાં ન આવ્યા હોત અને અકબર-બીરબલને જો હાસ્યાસ્પદ કે પછી બાળકોની વાર્તાના સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા ન હોત તો કદાચ બન્યું હોત કે ચાણક્ય પછી બીરબલ સૌથી વિશેષ રીતે લોકો સુધી પહોંચ્યા હોત, કારણ કે ચાણક્ય રાજકીય ઉત્કૃષ્ઠ હતા અને છે તો બીરબલ વ્યવહારું અને રોજિંદા જીવનની ફિલસૂફી સમજવામાં શ્રેષ્ઠ રહ્યા છે. યાદ રાખજો, શ્રેષ્ઠ જીવન જીવવાની બેસ્ટ ચાવી આ બન્ને મહાનુભાવો પાસેથી મળે છે. જો શ્રેષ્ઠ પ્રોફેશનલ લાઇફ જીવવી હોય તો ચાણક્યને દરેક પગલે જીવનમાં ઉતારજો અને જો સર્વોત્તમ સંબંધો જીવવા હોય તો બીરબલને દરેક તબક્કે જીવનમાં અનુસરજો. તમે ક્યારેય દુઃખી નહીં થાવ. ચાણક્યએ ઉત્તમોત્તમ રીતે રાજકીય વિશ્લેષણો આપ્યાં છે, પણ એ વિશ્લેષણો વાસ્તવિક જીવનમાં ખૂબ ઉપયોગી છે, જ્યારે બીરબલે કહેલી તમામ વાતો, ભલે દૃષ્ટાંત સ્વરૂપ હોય, પણ હકીકતમાં એ વાસ્તવિકતાથી પણ ચાર ચાસણી ચડે એવા છે.