બૅન્ક સાથે છેતરપિંડી આચરનારી જ્વેલરી ફર્મ સામે CBIએ ફરિયાદ નોંધાવી
CBI
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ બૅન્ક ઑફ બરોડા સાથે ૧૭૩.૬૩ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ વડોદરાસ્થિત જ્વેલરી ફર્મ અને તેના ડિરેક્ટર વિરુદ્ધ એફઆઇઆર નોંધાવ્યો છે.
સીબીઆઇએ મંગળવારે તેની એસીબી-ગાંધીનગર ઑફિસ ખાતે શ્રી મુક્ત જ્વેલર્સ બરોડા પ્રાઇવેટ લિમિટેડ, તેના પ્રમોટર-કમ-ડિરેક્ટર હર્ષ સોની અને અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવ્યો હતો. બૅન્કની ફરિયાદ મુજબ સોની ફરાર છે.
સીબીઆઇને કરેલી ફરિયાદમાં બૅન્ક ઑફ બરોડાએ કંપની, તેના ડિરેક્ટર તથા અન્યો પર ગુનાહિત કાવતરું, ગુનાહિત ગેરવર્તણૂક, છેતરપિંડી, પ્રપંચ કરવાનો અને જાહેર ભંડોળનું ડાઇવર્ઝન કરવાનો આરોપ મૂક્યો હતો.
કંપની ૨૦૧૩માં બૅન્ક પાસેથી લીધેલી લોનની પુનઃ ચુકવણી કરવામાં નિષ્ફળ નીવડી હતી. ફેબ્રુઆરી ૨૦૧૬માં તેનું અકાઉન્ટ એનપીએ થયું હતું અને બૅન્કે ૨૦૧૮માં તેને ઇરાદાપૂર્વકની ડિફૉલ્ટર જાહેર કરી હતી.