ધર્મસ્થળો ખોલવા મામલે સાવધાની રાખવી પડશે : ઉદ્ધવ
ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)
માયાનગરી મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી ધર્મસ્થળો પુન: શરૂ કરવા માટે માગણીઓ કરાઈ રહી છે. ધાર્મિક સ્થળો ઉપરાંત વિરોધ પક્ષ બીજેપી પણ સત્તાધારી પક્ષ પર પ્રહાર કરી રહી છે. બીજેપીએ ધર્મસ્થળોના દ્વાર ખોલવા ઓઢવ સરકાર સામે ઘંટનાદ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો. ઑલ ઇન્ડિયા મજલિસ-એ-લત્તેહાદુલ મુસ્લિમીન અને વંચિત બહુજન આઘાડીએ ધર્મસ્થળો પુનઃ શરૂ કરવા માટે સરકાર પર દબાણ કર્યું હતું.
આ મુદ્દે ચોમેરથી ઘેરાયેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ‘અનલૉક દરમિયાન ઘણી ઍક્ટિવિટી ધીમે-ધીમે શરૂ કરવામાં આવી રહી છે. મંદિરો અને અન્ય ધર્મસ્થળો પૂર્ણ શરૂ કરવાની પણ માગણી કરવામાં આવી રહી છે, પણ એ સંદર્ભે અમારે થોડી સાવધાની રાખવી પડશે.’
આ વાત ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં લીધેલી એક મીટિંગ દરમિયાન કહી હતી, જેમાં કોરોનાની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં સાતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં પરિસ્થિતિ ઘણી ગંભીર છે. એવામાં નવરાત્રિ, દશેરા અને દિવાળીનો તહેવાર પણ હવે નજીક આવી રહ્યો હોવાથી સરકારે વધુ સાવચેતી રાખવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં અંદાજે ૮ લાખ લોકો કોરોના પૉઝિટિવ છે.