50 ટકા કર્મચારીઓની ‘વર્ક ફ્રૉમ હોમ’ સુવિધા ફેસબુક ચાલુ રાખશે
ફેસબુક
કોરોના કાળમાં મોટા ભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા પ્રદાન કરી રહી છે, પરંતુ ફેસબુક વર્ક ફ્રૉમ હોમની આ નીતિને કાયમ ચાલુ રાખવા ઇચ્છે છે. વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી કંપની ફેસબુકના માર્ક ઝુકરબર્ગનું કહેવું છે કે આગામી ૧૦ વર્ષોમાં કંપનીના આશરે ૫૦ ટકા કર્મચારી રિમોટ વર્કિંગ કરશે. તેમણે ઑફિસ જવાની જરૂર નહીં રહે. ફેસબુકનો આ નિર્ણય કર્મચારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે, પણ આમાં એક ટ્વિસ્ટ પણ છે.
જે કર્મચારીઓને વર્ક ફ્રૉમ હોમનો વિકલ્પ આપવામાં આવશે તેમના સૅલેરી પૅકેજમાં ઘટાડો થવાની શક્યતા છે. ઝુકરબર્ગનું કહેવું છે કે અમે બહુ સારી સૅલેરી આપીશું, પણ એ માર્કેટ રેટ પર આધારિત હશે અને એ લોકેશનને અનુસાર અલગ હોઈ શકે. વર્ક ફૉર્મ હોમથી કપનીનાં ભોજન, વીજળી અને ઑન-કેમ્પસ સુવિધાઓ પર થતા ખર્ચમાં પણ ઘટાડો થશે, પરંતુ તેણે કર્મચારીઓને આવશ્યક ઉપકરણ પ્રદાન કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે. જોકે હજી એ સ્પષ્ટ નથી કે આ નિર્ણયનો કંપનીની નાણાકીય સ્થિતિ અને કર્મચારી પૅકેજો પર શી અસર પડશે.