‘વ્યાપાર સ્વરાજ્ય અભિયાન’
પ્રતીકાત્મક તસવીર
કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅઇટ) દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ચીન પર ભારતના વેપારની નિર્ભરતાનો અંત લાવવા અને દેશના રીટેલ વેપારને બહુરાષ્ટ્રીય ઈ-કૉમર્સ કંપનીઓ અને અન્ય વિદેશી કંપનીઓથી બહાર પાડવા માટે એક રાષ્ટ્રીય અભિયાન ‘વ્યાપાર સ્વરાજ્ય’ની જાહેરાત કરવામાં આવી છે.
આ અભિયાન બીજી ઑક્ટોબરથી લઈને ૩૧ ડિસેમ્બર સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકલ પર વોકલ અને આત્મનિર્ભર ભારતના આહવાનને સફળ બનાવવા અને ઈ-કૉમર્સ સહિત દેશના ઘરેલુ વેપારને ચીન સહિત અન્ય વિદેશી કંપનીઓના આક્રમણથી મુક્ત કરવા માટે દેશનાં બધાં રાજ્યો, શહેરો, ગામમાં ૪૦ હજારથી વધુ વેપારી સંગઠનોના માધ્યમથી ચલાવાશે.
આ અભિયાન માટે કૅઇટે એક ચાર્ટર પણ જાહેર કર્યું છે. કૅઇટના પ્રવક્તાના કહેવા પ્રમાણે ભારતના રીટેલ વેપારને વિદેશી કંપનીઓ દ્વારા એમની મનમરજીથી નુકસાન કરવા નહીં દઈએ.
કૅઇટના એક પદાધિકારીએે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે, અભિયાન માટે એક ચાર્ટર જાહેર કરાયો છે અને એમાં ઈ-કૉમર્સ વેપાર માટે ઈ-કૉમર્સ પોલીસ જાહેર થાય, ઈ-કૉમર્સ વેપાર પર નજર રાખવા એક રેગ્યુલેટરી ઑથોરિટી બનાવાય, ઘરેલુ વ્યાપાર માટે એક રાષ્ટ્રીય વેપાર નીતિની જાહેરાત થાય, રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડનું તરત ગઠન થાય, જીએસટી કાયદામાં ફરી સમીક્ષા કરીને એને સરળ બનાવવા સહિતની માગણીઓ છે.