રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, ઈ-સિગારેટ પર પ્રતિબંધ
નિર્મલા સીતારમણ
કેન્દ્રીય કૅબિનેટની બેઠક બાદ પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકાર-પરિષદ કરીને જણાવ્યું હતું, રેલવેના ૧૧ લાખ કર્મચારીઓને ૭૮ દિવસનો પગાર બોનસના રૂપમાં આપવામાં આવશે. મીડિયા સાથે વાતચીત દરમિયાન હાજર રહેલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું, ઈ-સિગારેટને સંપૂર્ણ રીતે બંધ કરવા માટેનો કૅબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈ કાલે થયેલી કૅબિનેટ બેઠકમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ કૅબિનેટે આ મુદ્દેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કૅબિનેટે ઇલેક્ટ્રિક સિગારેટના ઇમ્પોર્ટ, પ્રોડક્શન અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ ઈ-સિગારેટના પ્રમોશન પર પણ રોક લગાવવામાં આવી છે.
ADVERTISEMENT
આ અધ્યાદેશમાં હેલ્થ મિનિસ્ટ્રીએ પહેલી વખત નિયમોના ઉલ્લંઘન પર એક વર્ષની જેલ અને ૧ લાખ રૂપિયા દંડનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે એકથી વધારે વખત નિયમ તોડવા પર મિનિસ્ટ્રીએ પાંચ લાખ રૂપિયાનો દંડ અને ૩ વર્ષની જેલની સજાની ભલામણ કરી છે.
આ પણ વાંચો : પીએમ મોદીને મળ્યાં મમતા બૅનરજીઃ પશ્ચિમ બંગાળનું નામ બદલવા માટે કરી રજૂઆત
રેલવે કર્મચારીઓને બોનસ આપવા માટે સરકારને ૨૦૨૪ કરોડ રૂપિયાનો ખર્ચ છે. આ સતત છઠ્ઠું વર્ષ છે કે સરકાર તરફથી બોનસની જાહેરાત કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે બોનસ આપવાથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે. ભારતીય રેલવેમાં ૧૧.૫૨ લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ નિર્ણયનો ફાયદો દરેક કર્મચારીને મળશે.