બજેટ 2020ઃ મહારાષ્ટ્ર- ગુજરાતની અપેક્ષા જણાવે છે અર્થશાસ્ત્રીઓ
અર્થશાસ્ત્રી જિતેન્દ્ર સંધવી અને વાય કે અલઘે મહારાષ્ટ્ર-ગુજરાતની અપેક્ષાઓ જણાવી
આવતીકાલે નિર્મલા સિતારમણ નાણા મંત્રી તરીકે તેમનું બીજું બજેટ રજુ કરશે. મંદી અને માંગમાં ઘટાડાના પગલે લોકોની આવતીકાલે શુ રજુઆત થાય છે તેની પર ચાંપતી નજર છે. મિડ-ડેએ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બંન્ને રાજ્યોને બજેટ પાસેથી શું અપેક્ષા છે તે અંગે અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે વાત કરી.
ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બરના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને અર્થશાસ્ત્રી જિતેન્દ્ર સંઘવીનું કહેવું છે કે, “GSTને કારણે હવે એક જ ટૅક્સ હોવાથી તેમાં કોઇ ફેરબદલ ન થાય ત્યાં સુધી કોઇ ફાયદો થવાની શક્યતા નથી. GST કાઉન્સિલમાં તાજેતરમાં જ કરવેરાના દરો, ટૅક્સની પ્રોસેસ અને સ્લેબ વગેરે અંગે અનિવાર્ય નિર્ણયો લેવાયા હોવાથી તેમાં કોઇ ફેરફાર થવાની શક્યતા નથી. હવે આપણે ડાયરેક્ટ ટૅક્સની વાત કરીએ તો મુંબઇ ઔદ્યોગિક શહેર છે અને દેશનું આર્થિક પાટનગર પણ છે. મેન્યુફેક્ચરિંગ તથા એક્સપોર્ટ વગેરેમાં મુંબઇનો હિસ્સો બહુ મોટો છે માટે જો ડાયરેક્ટ ટૅક્સમાં કોઇપણ રાહત મળે તો લોકોને ફાયદો થાય અને સરવાળે સરકારને પણ લાભ થાય જ. કૉર્પોરેટ ટૅક્સમાં તો ફાયદો કરી જ આપ્યો છે પણ તે અનુસાર 1 ઑક્ટોબર પછી સ્થપાયેલા એકમોને 15 ટકા કૉર્પોરેટ ટૅક્સ ચૂકવવાનો અને બીજા એકમો માટે તેમનું કદ, ટર્નઓવર વગેરેને આધારે અલગ પ્રમાણ નિયત થયું છ પણ જો સરકાર આ બજેટમાં કોર્પોરેટ ટેક્સ બધા માટે એક સમાન કરી દે તો ઘણો લાભ થાય. જેટલા કૉર્પોરેટ યુનિટ્સને લાભ થાય એ તમામને કારણે મુંબઇવાસી ઉદ્યોગકારો અ સરકારને ફાયદો જ થશે. ઘણી ઇન્ડસ્ટ્રીઝની હેડ ઑફિસ મુંબઇમાં હોવાથી પણ આ પરિસ્થિતિનો ફાયદો થશે. હાયર બ્રેકેટમાં જે છે તેમનો ઇન્કમ ટૅક્સ ઘટાડાય અને કૉર્પોરેટ ટૅક્સ અને ઇન્કમ ટૅક્સ વચ્ચેની ગૅપ ઓછી કરાય તો પણ ઘણું લાભદાયી રહેશે. વળી રાજ્યને કેન્દ્ર સરકારના ટૅક્સ રેવન્યુ કલેક્શનને આધારે હિસ્સો મળતો હોય છે, પણ કેન્દ્ર સરકારનું તે કલેક્શન ઘટે તો રાજ્ય સરકારની આવક પણ ઘટે, જે અત્યારે પહેલાં કરતાં તો ઓછુ જ છે પણ પરિસ્થિતિ નહીં બદલાય તો 2020-21માં પણ મહારાષ્ટ્ર સરકારની આવક ઓછી રહેશે.” તેમણે રેલવે બજેટના સંદર્ભે જણાવ્યુ કે, “મેટ્રોની કામગીરી કે સબર્બન રેલવેને મામલે મુંબઇગરાંઓને ધ્યાનમાં રાખીને વિશેષ લાભ અપાય તો ચોક્કસ લાભ થવાનો. રોજના 90 લાખ લોકો સબર્બન રેલવેનો ઉપયોગ કરે છે. સરકાર કોઇ સવલત વધારે, સ્ટેશનોનો વિકાસ કરે તો પણ સામાન્ય નાગરિકને ફાયદો જ થશે જેનો રાજકીય લાભ સરકારને પણ મળશે. ”
ADVERTISEMENT
ગુજરાતના સંદર્ભે પૂર્વ યુનિયન મિનિસ્ટર અને અર્થશાસ્ત્રી વાય. કે. અલઘે મિડ-ડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “રાજ્યમાં ગ્રામીણ માળખાકિય સુવિધાઓને વધારવા માટેનું રોકાણ વધવું જોઇએ. ઔદ્યોગિક ક્ષમતા ઓછી છે જે વધારવી જોઇએ અને આમ માગ પણ વધશે. વળી સામાજિક બજેટમાં વધારો કરવો તો બહુ જ જરૂરી છે. મહિલા સ્વાસ્થ્ય માટે બજેટ વધારે ફાળવાય તે જરૂરી છે. વળી સ્કૂલ જતી કન્યાઓનું હિત ધ્યાનમાં રાખીને જાહેરાત થી જોઇએ જેથી દલિત, આદિવાસી, લઘુમતિ તમામ વર્ગની કન્યાઓનાં શિક્ષણનું પ્રમાણ વધી શકે, કારણકે એ મામલે ગુજરાતીની સ્થિતિ બિમારુ રાજ્યોથી બહેતર નથી જ. પબ્લિક પ્રાઇવેટ ભાગીદારી વધારીને આ દિશામાં કામ થવું જોઇએ. ટૅક્સનાં દર તો બહુ ઊંચા છે જ, તે ઘટાડવા તો શક્ય નથી પણ તે વધે નહીં તો ય ઘણુ છે. સરકારે સસ્તા બિયારણનું વેચાણ અટકાવવું જ રહ્યું જેથી ખેડૂતોને નુકસાન થતું અટકે, તેમનું વેચાણ વધે.”