કોરોનાના ડરથી વર-કન્યાએ કર્યાં મહેમાનો સામે લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા લગ્ન
સિંગાપોરનું એક યુગલ થોડા દિવસ પહેલાં વુહાન ગયું હતું અને કોરોના વાઇરસથી બચવા માટે આગોતરી તકેદારી રાખી હતી. એ યુગલે અન્યની નિકટતા ટાળવા માટે લાઇવ સ્ટ્રીમિંગના માધ્યમથી લગ્નની વિધિ મહેમાનો સમક્ષ કરી હતી. કોરોના વાઇરસના કેન્દ્ર એવા વુહાનના પ્રવાસ પછી વાઇરસના ચેપની આશંકાને પગલે યુગલે બે જગ્યાએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેમણે મહેમાનો માટે નિશ્ચિત સ્થળ રાખ્યું અને લગ્નની વિધિ અને રીતરિવાજો પૂરાં કરવા પોતાને માટે અલગ ઠેકાણું રાખ્યું હતું.
મહેમાનો લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા લગ્નની વિધિ જોતા હતા અને અંતમાં અભિવાદન તથા આશીર્વાદ પણ લાઇવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ્યા હતા. ડૉક્ટરોએ વુહાનથી સિંગાપોર પહોંચ્યા પછી ૧૪ દિવસ સુધી કોઈના સંપર્કમાં ન આવવાની સૂચના આપી હતી. લગ્નની તારીખ બદલાય એમ નહોતી. એવા સંજોગોમાં લગ્ન રદ કરવાં કે મહેમાનોને આવવાની મનાઈ કરવી એ સમજાતું નહોતું એટલે લાઇવ સ્ટ્રીમિંગનો મધ્ય માર્ગ સૌએ સ્વીકારી લીધો.