કોરોનાને કારણે સીલ કરાઈ રાજસ્થાનની બૉર્ડર
કોરોનાને કારણે સીલ કરાઈ રાજસ્થાનની બૉર્ડર
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે ફરી એક વખત રાજ્યની સરહદોને સીલ કરી દેવામાં આવી છે. રાજસ્થાન સરકારના ગૃહ વિભાગે આ મામલે આદેશ જાહેર કર્યા છે. સરકારી આદેશ પ્રમાણે કોરોનાના વધતા કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્યની સરહદો સીલ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજસ્થાનની જે પણ વ્યક્તિ રાજ્યની બહાર જવા ઇચ્છશે તેના માટે પાસ લેવો જરૂરી છે. એક તરફ રાજ્યની કૉન્ગ્રેસ સરકારને પાડી દેવા પ્રયત્નો થઈ રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે એવા સમયે જ રાજસ્થાનની સરહદોને સીલ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટના આરોપ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) રાજ્યની કૉન્ગ્રેસ સરકારને પાડવા ષડયંત્ર રચી રહી છે.
હાલ રાજસ્થાનની સરહદ પર ચોકસાઈ વર્તવામાં આવી રહી છે. ધારાસભ્યોને રાજ્યની બહાર જતા અટકાવવા માટે રાજસ્થાનની સરહદને નિયંત્રિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એ સિવાય પ્રદેશની સરહદ પર પોલીસનું ચેકિંગ પણ વધારી દેવાયું છે અને હાઇવે પર વિશેષ નાકાબંધી ચાલી રહી છે. એડીજી લૉ ઍન્ડ ઑર્ડર સૌરભ શ્રીવાસ્તવે સરહદને નિયંત્રિત કરવાનો આદેશ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કૉન્ગ્રેસના ધારાસભ્યોને હોટેલમાં રાખતાં પહેલાં રાજસ્થાન પોલીસે સરહદ નિયંત્રણનો આદેશ આપ્યો હતો.