નરેન્દ્ર મોદીના વિમાનમાં મળ્યો સ્ટન-ગ્રેનેડ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસ માટેના વિમાનના કાફલામાં રહેલા એક વિમાનમાંથી ગઈ કાલે સ્ટન-ગ્રેનેડ મળી આવતાં વડા પ્રધાનની સિક્યૉરિટીના મુદ્દે વિવાદ ઊભો થયો હતો. શરૂમાં ઍર ઇન્ડિયાએ એને પ્લાસ્ટિકનું રૅપર ગણાવ્યું હતું, પણ સાંજે સિવિલ એવિયેશન મિનિસ્ટર અશોક ગજપતિએ એને સ્ટન-ગ્રેનેડ ગણાવ્યો હતો. આ કેસમાં ઍર ઇન્ડિયાના મુંબઈ અને હૈદરાબાદના સિક્યૉરિટી મેનેજરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
શું છે સ્ટન-ગ્રેનેડ?
આ સ્ટન-ગ્રેનેડનો ઉપયોગ બાનમાં લેવામાં આવેલા લોકોના બચાવ માટે કરવામાં આવે છે અને એને ફોડવામાં આવે ત્યારે આંખો અંજાઈ જાય એવી રોશની થાય છે.
ખબર કેવી રીતે પડી?
વડા પ્રધાનના અમેરિકાના પ્રવાસ બાદ આ વિમાનને ગઈ કાલે મુંબઈથી હૈદરાબાદ માર્ગે જેદ્દાહ મોકલવામાં આવ્યું હતું અને જેદ્દાહમાં સિક્યૉરિટી-ચેક દરમ્યાન બિઝનેસ ક્લાસમાં આ સ્ટન-ગ્રેનેડ મળ્યો હતો.
શું કહ્યું મિનિસ્ટરે?
સ્ટન-ગ્રેનેડ વિશે માહિતી આપતાં અશોક ગજપતિએ કહ્યું હતું કે ‘આ ગ્રેનેડ મૉક-ડ્રિલ દરમ્યાન વિમાનમાં રહી ગયો હશે. એના પર બૉર્ડર સિક્યૉરિટી ફોર્સનો માર્કો છે. એનાથી પૅસેન્જરોને કોઈ ખતરો નહોતો, પણ આ લાપરવાહી ચલાવી લેવાય એવી નથી. આ ઘટના બાબતે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.’