2019માં કોંગ્રેસની હારેલી ઉમેદવાર ઉર્મિલા માતોંડકર હવે શિવસેનામાં
ઉર્મિલા માતોંડકર
2019ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડીને બાદમાં પક્ષ છોડનાર બૉલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર (Urmila Matondkar) , મંગળવારે શિવસેનામાં જોડાશે. પાર્ટીના અધિકારીએ રવિવારે આ જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી હર્ષલ પ્રધાને રવિવારે કહ્યું હતું કે માતોંડકર સીએમની હાજરીમાં પાર્ટીમાં જોડાશે. ઉર્મિલા માતોંડકરનું નામ રાજ્યપાલના ક્વોટામાંથી વિધાન પરિષદમાં નામાંકન માટે શિવસેના દ્વારા રાજ્યપાલ બી.એસ. કોશ્યયરીને મોકલવામાં આવ્યું હતું.
ગવર્નરના ક્વોટામાંથી નામાંકન માટે અન્ય 11 લોકોના નામ મહા વિકાસ અઘાડી પક્ષે મોકલ્યા છે. રાજ્યપાલે હજી 12 નામોની યાદીને મંજુરી આપવાની છે. ઉર્મિલા માતોંડકરે જ્યારે 2019માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો ત્યારે તે તેને તેમાં સરિયામ નિષ્ફળતા મળી હતી. તાજેતરમાં ઉર્મિલા માતોંડકરે નૅપોટિઝમ અને પાકિસ્તાનના કબ્જામાં જે કાશ્મીર છે તેની સાથે મુંબઇની સરખામણી કરવાના મુદ્દે કંગના રાણૌતની ટિકા કરી હતી.