બીએમસીને એક જ દિવસમાં મળી ૧૬૯ મૃત પક્ષીઓની ફરિયાદ : સૌથી વધારે સબર્બમાં
મુલુંડના તાંબેનગરમાં દવાનો છંટકાવ કરી રહેલો એક અધિકારી.
મુંબઈમાં બર્ડ-ફ્લૂનો પ્રકોપ પ્રસરતો જાય છે. ગઈ કાલના એક દિવસમાં પાલિકાને મૃત પક્ષીઓની ૧૬૯ ફરિયાદ મળી હતી. એ સાથે માત્ર મુલુંડમાં એક દિવસમાં ૧૫ પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. પાલિકાના એક અધિકારીએ કહ્યું હતું કે દરેક પક્ષીઓનાં સૅમ્પલને લેબમાં તપાસ માટે મોકલી અપાયાં છે. એ ઉપરાંત મળી આવેલી જગ્યાએ સૅનિટાઇઝિંગ પણ કરવામાં આવ્યું છે.
મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને બર્ડ ફ્લૂના પ્રકોપને ધ્યાનમાં રાખી એક હેલ્પલાઇન જારી કરી છે. જેમાં તમને કોઈ જગ્યાએ મૃત અવસ્થામાં પક્ષી દેખાય તો તમે પાલિકાનો સંપર્ક કરી શકો છો. પાલિકાને મળેલી ફરિયાદમાંથી મોટા ભાગની વેસ્ટર્ન વિસ્તારના વૉર્ડમાંથી મળી હોવાનું જાણવા મળ્યું હતું.
મુલુંડમાં ૧૫ પક્ષી મૃત હાલતમાં મળી આવતાં સ્થાનિક લોકોએ આ અંગે પાલિકાને જાણ કરતાં તુરંત તેઓ તપાસ માટે આવ્યા હતા.
મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મુખ્ય જનસંપર્ક અધિકારી તાનાજી કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ગઈ કાલે એક દિવસમાં ૧૬૯ પાલિકામાં મૃત પક્ષી મળી આવવાની ફરિયાદ આવી હતી. મળેલાં પક્ષીઓને તુરંત તપાસ સેન્ટરમાં મોકલી આપ્યાં છે. જોકે તેનો રિપોર્ટ આવવામાં બે-ત્રણ દિવસ જતા હોય છે.