કમોસમી વરસાદને પગલે વધશે ડેન્ગીના મચ્છરોનો આતંક
ADVERTISEMENT
અચાનક પડેલા વરસાદે શહેરમાં ગરમીથી રાહત આપી છે, પરંતુ એથી સુધરાઈના આરોગ્ય વિભાગની ઊંઘ ઊડી ગઈ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ ચિંતિત છે કે એનાથી મચ્છરોનો ઉપદ્રવ વધશે અને ડેન્ગીના કેસો વધવાની આશંકા છે.
વેધશાળાના એક અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘લક્ષદ્વીપથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા તરફ જઈ રહેલાં દરિયાકાંઠાથી ૯૦૦ મીટરની ઊંચાઈએ આવેલાં પૂર્વી પવનનાં મોજાંએ આ કમોસમી વરસાદ સરજ્યો છે. કોંકણ, ગોવા, અને મધ્ય મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. હવામાન આવતા કેટલાક દિવસો સુધી વાદળિયું રહેશે.’
શહેરમાં વધતા જતા ડેન્ગીના કેસોને લઈને સુધરાઈનો આરોગ્ય વિભાગ કોઈ ચાન્સ લેવા નથી માગતો. સુધરાઈનાં એક્ઝિક્યુટિવ આરોગ્ય ઑફિસર પદ્મજા કેસકરે જણાવ્યું હતુ કે ‘કમોસમી વરસાદ અને ભેજને લીધે મચ્છરોનો ઉત્પાત વધશે. અમે બહારના વિસ્તારોમાંં વધુ મચ્છરો પેદા ન થાય એ માટે અમારા પ્રયાસો સઘન કર્યા છે.’
વેધશાળાના ડિરેક્ટર વી. કે. રાજીવે જાહેર કર્યું હતું કે આગામી એક-બે દિવસમાં શહેરમાં હળવાં ઝાપટાં પડશે.
કપાસ, તુવેર, ડાંગર, સોયાબીન, મગ અને સંતરાના પાકને નુકસાન
રાજ્યભરમાં હાલમાં થયેલા માવઠાને લીધે ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મુંબઈ, અમરાવતી, ઔરંગાબાદ, અમરાવતી, કોલ્હાપુર અને કોંકણમાં વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લીધે વિદર્ભમાં કપાસ અને તુવેર જ્યારે પશ્ચિમ મહારાષ્ટ્રના વિસ્તારોમાં ડાંગર, મગ, અને સોયાબીનના પાકને ઘણું નુકસાન થયું છે. આખું વર્ષ જે ખેતીની માવજત કરી હતી એ નષ્ટ થઈ જતાં ખેડૂતોની આંખમાંથી આંસુ વહી રહ્યાં છે.
અમરાવતી જિલ્લામાં બે દિવસ અગાઉ વાદળના ગડગડાટ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે કપાસ અને તુવેરના પાકને ઘણું નુકસાન થયું છે. સમગ્ર વર્ષ જે પાકનું જતન કર્યું હતું એ નાશ પામતાં ખેડૂતો અત્યંત દુખી થઈ ગયા છે. ઠંડી આબોહવાને લીધે સંતરાંનો પાક ગળી ગયો છે અને જે થોડાંઘણાં સંતરાં ઝાડ પર છે એ પણ હવે ખરી રહ્યાં છે. અનેક ખેડૂતો પાસેથી વેપારીઓએ ૩થી ૫ લાખ રૂપિયાનાં સંતરાં માગ્યાં હતાં, પરંતુ એક રાતના વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. એટલે હવે ખેડૂતો બૅન્ક-લોન કઈ રીતે ભરપાઈ કરવી, બાળકોનું શિક્ષણ કઈ રીતે પૂરું કરવું અને દીકરીઓનાં લગ્ન કેવી રીતે પાર પાડવાં એની વિમાસણમાં મુકાઈ ગયા છે.
મરાઠવાડામાં પાકને ફાયદો
મરાઠવાડામાં છેલ્લા ત્રણ દિવસથી અમુક સ્થળોએ વરસાદે હાજરી નોંધાવી છે. શુક્રવાર રાતથી ઔરંગાબાદમાં ઝરમર વર્ષા ચાલુ છે. જાલનાના કેટલાક ભાગોમાં પણ વર્ષા થઈ છે. આ વરસાદનું પ્રમાણ વધુ ન હોવા છતાં એ શિયાળુ પાક માટે ફાયદાકારક ઠરશે. જોકે જે ખેડૂતોએ કપાસ અથવા બાજરીના પાકની લણણી ન કરી હોય તેમને નુકસાન થવાની શક્યતા છે; જ્યારે જુવાર, ઘઉં જેવા પાકને વરસાદથી ફાયદો થશે એવો ક્યાસ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો.