કોરોનાના સંકટ વચ્ચે મુંબઈમાં બર્ડ ફ્લુની દહેશત
ફાઈલ તસવીર
મુંબઈગરાઓ કોરોના વાઇરસનો સામનો કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે બપોરે ચેમ્બુરમાં ૯ કાગડા રહસ્યમય રીતે મૃત્યુ પામતાં અહીં પણ બર્ડ ફ્લુની એન્ટ્રી થવાની શક્યતા જોવાઈ રહી છે. રાજ્યના લાતુર અને પરભણીમાં મરઘીઓનાં મોત થવાની ઘટના તાજી જ છે ત્યારે ચેમ્બુરમાં કાગડાઓના રહસ્યમય મોતથી પાલિકા પ્રશાસન અલર્ટ થઈ ગયું છે. કાગડાઓનું કયા કારણથી મૃત્યુ થયું છે એ જાણવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
ચેમ્બુરમાં તાતા કૉલોની પરિસરમાં ગઈ કાલે બપોરે ૯ કાગડા મૃત્યુ પામ્યા હોવાનું જણાયું હતું. એક જ જગ્યાએ આટલા કાગડા મરીને પડ્યા હોવાથી આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાં આરસીએફ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક મુંબઈ મહાનગરપાલિકાને સૂચના આપી હતી. પાલિકાની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃત્યુ પામેલા કાગડાઓના શરીરના નમૂના લઈને તેમના મૃત્યુનું કારણ જાણવા લૅબોરેટરીમાં મોકલ્યા હતા. કાગડાઓનું મૃત્યુ બર્ડ ફ્લુને લીધે થયું છે કે બીજું કોઈ કારણ છે એ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.
ADVERTISEMENT
રાજ્યના લાતુરના કેન્દ્રેવાડીમાં પણ ગઈ કાલે બપોરે ૩૫૦ મરઘીઓનાં રહસ્યમય મોત થયાં હતાં. એકસાથે આટલી બધી મરઘીઓ મરી જતાં આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ મરઘીઓ એક જ પોલ્ટ્રી ફાર્મની હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પ્રશાસનની ટીમે મરઘીનાં સામૂહિક મોતનું કારણ જાણવાના પ્રયાસ હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ બાદ કેન્દ્રેવાડીના પોલ્ટ્રી ફાર્મના પાંચ કિલોમીટર પરિસરમાં ઇંડાં અને ચિકન વેચવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
પરભણીના મુરુંબા ગામમાં ૯ જાન્યુઆરીએ એક જ દિવસે ૯૦૦ મરઘીઓ અચાનક મૃત્યુ પામી હતી એથી હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ગુજરાત બાદ એવિયન બર્ડ ફ્લુએ મહારાષ્ટ્રમાં પણ એન્ટ્રી મારી હોવાની શક્યતા છે.