BMCએ કંપનીઓને સ્ટાફ ઓછો કરવા કહ્યું, છતાં ટ્રેનોમાં લોકોની ભીડ યથાવત્
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મહાનગરપાલિકાએ શહેરની તમામ કંપનીઓને રોજ ઑફિસમાં આવી કામ કરતા સ્ટાફની સંખ્યા ૫૦ ટકા કરવા કહી દીધું છે, અન્ય સ્ટાફને ઘરેથી કામ કરવાનું કહીં રસ્તા અને જાહેર સ્થળો પર ભીડ ઓછી કરવાનું કહ્યું છે, પણ મુંબઈના લોકલ ટ્રાન્સપોર્ટમાં સરકારના આ આદેશનું પાલન થતું જોવા મળી રહ્યું નથી. વૉર્ડ ઑફિસો દ્વારા પણ નોટિસ જાહેર કરાઈ હોવા છતાં ગઈ કાલે તમામ બસો અને ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નહોતો.
એ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર ચંદા જાધવે જણાવ્યું હતું કે એ વૉર્ડમાં અંદાજે ૨૨૦૦ જેટલી કંપનીઓ છે જે દરેક કંપનીમાં ૧૦થી વધુ કર્મચારીઓ છે. અમે એમને નોટિસ આપી કર્મચારીઓની સંખ્યા ઘટાડવા કહ્યું છે. અત્યાર સુધી અમે ૧૧૦૦ જેટલી કંપનીઓને ઈ-મેઇલ પણ મોકલ્યા છે. કોલાબાથી તાડદેવ વિસ્તારના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદ કાળેએ જણાવ્યું હતું કે બીએમસી એડવાઇઝરી મોકલી રહી છે, જે કંપનીઓ આ ધારાધોરણમાં આવતી હશે તેમણે આ ઓર્ડરનું પાલન કરવાનું રહેશે. જો કોઈ કંપનીને આ અંગે વાંધો હોય તો તેઓ તેમના વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર સાથે ચર્ચા કરી શકે છે. બીએમસીના મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેશીએ જણાવ્યું હતું કે જો કંપનીઓ ૫૦ ટકા જેટલો મેન-પાવર ઓછો નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.