જય શ્રીરામના નારા કોણે લગાવ્યા: મમતાએ એજન્સીઓને તપાસ કરવા કહ્યું
મમતા બૅનરજી
પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામનો નારો લગાવવાનો મુદ્દો આખા દેશમાં ચર્ચાઈ રહ્યો છે. મમતા બૅનરજીને જોકે આ વાતની કોઈ ખાસ પરવા હોય તેમ લાગતું નથી. પશ્ચિમ બંગાળમાં કોઈ જય શ્રીરામનો નારો ના લગાવે તે માટે તેઓ ઉલટાના વધારેને વધારે પ્રયાસો કરી રહ્યાં છે.
બંગાળથી પ્રકાશિત થતા એક અખબારના અહેવાલ પ્રમાણે મમતા બૅનરજીએ રાજ્યની ગુચર સંસ્થાઓને રાજ્યમાં કયા કયા સ્થળે જય શ્રીરામના નારા લાગી શકે છે તેની તપાસ કરવા માટે તાકીદ કરી છે. હવે ગુચર સંસ્થાઓએ મમતા બૅનરજી જ્યાંથી પ્રવાસ કરવાના હોય તેવા રૂટ પરની જગ્યાઓ ચેક કરવી પડશે જ્યાં જય શ્રીરામના નારા લાગવાના હોય. મમતા બૅનરજીનું માનવું છે કે, ઉશ્કેરણી કરવા માટે આવા નારા લગાવાઈ રહ્યા છે.
ADVERTISEMENT
મમતાનું શાસન અલગતાવાદથી ઓછું નથી : સાક્ષી મહારાજ
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે તનાવ વધી રહ્યો છે. હરિદ્વારમાં સાક્ષી મહારાજે મમતા બૅનરજીને હિરણ્યકશિપુના ખાનદાનનાં ગણાવ્યાં જે જય શ્રી રામ બોલવા પર જેલ મોકલવાની વાત કરે છે. તેમણે કહ્યું કે બંગાળનું નામ આવતાં જ ત્રેતા યુગની યાદ આવે છે જ્યારે રાક્ષસ રાજા હિરણ્યકશિપુએ જય શ્રી રામ બોલવા પર પોતાના દીકરાને જેલમાં મોકલી યાતનાઓ આપી હતી. બંગાળમાં મમતા પણ આ જ કરી રહ્યાં છે. જય શ્રી રામ બોલવા પર જેલમાં નાખી રહ્યાં છે અને યાતનાઓ આપી રહ્યા છે. મમતા ક્યાંક હિરણ્યકશિપુના ખાનદાનનાં તો નથીને?
આ પણ વાંચો : પાંદડાનો રસ અને કાદવના રંગથી સજાવી દીધી શહેરની દીવાલો
સાક્ષી મહારાજે કહ્યું કે મમતાનું શાસન અલગતાવાદથી ઓછું નથી. આથી બંગાળી આહત છે અને તેમનો ખામિયાજા મમતાને ચૂકવવો પડશે. વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં બીજેપીની સરકાર બનશે.