બીજેપીનો સભાત્યાગ
ફાઈલ તસવીર
મુંબઈ મહાનગરપાલિકા ક્ષેત્રમાં આવેલાં ૫૦૦ ચોરસ ફુટથી નાનાં મકાનો પરના પ્રૉપર્ટી ટૅક્સમાં છૂટ આપવાનો ઠરાવ કર્યા બાદ એની અમલબજવણી કરવામાં પ્રશાસન ટાળંટોળ કરતી હોવાના વિરોધમાં બીજેપીના નગરસેવકોએ ગઈ કાલે લૉ કમિટીની બેઠકમાંથી સભાત્યાગ કર્યો હતો.
પાલિકાની ગઈ કાલે યોજાયેલી લૉ કમિટીની બેઠકમાં ચર્ચા કરતી વખતે બીજેપીના નગરસેવકોએ સામાન્ય મુંબઈગરા માટેના મહત્ત્વના એવા ૫૦૦ ચોરસ ફુટથી નાની મિલકત પરના પ્રૉપર્ટી ટૅક્સમાં છૂટ આપવા બાબતે પ્રશાસનને સવાલ કર્યા હતા. નગરસેવકો અભિજીત સામંત, અતુલ શાહ, અનિશ મકવાનીએ પ્રશાસનને છૂટ તાત્કાલિક ધોરણે લાગુ કરવાની માગણી કરી હતી. જોકે પાલિકાના જૉઇન્ટ કમિશનરે આ બાબતે ચર્ચા કરવાનું શક્ય ન હોવાનું કહેતાં બીજેપીના નગરસેવકોએ સભાત્યાગ કર્યો હતો અને પ્રશાસનની અસંવેદનશીલતાનો વિરોધ કર્યો હતો.