દિલ્હી પ્રદૂષણમાં થોડી રાહતઃ કૃત્રિમ વરસાદ કરાવવા સાંસદનો મોદીને પત્ર
(જી.એન.એસ.) દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણમાં મંગળવારે થોડી રાહત મળી, જોકે અહીં કેટલાક વિસ્તારોમાં હજુ પણ ખરાબ સ્તર યથાવત છે. દિલ્હી, ગુડગાંવ, નોઈડા અને ગાઝિયાબાદમાં અૅર-ક્વોલિટી ઇન્ડેક્સ(એક્યુઆઈ) ૪૦૦ની આસપાસ છે. દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં પ્રદૂષક કણ પીએમ ૨.૫ના સ્તરમાં સોમવારની સરખામણીમાં ૨૦૦ અંકનો ઘટાડો જોવા મળ્યો છે.
જોકે ગાઝિયાબાદના બીજેપીના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વાયુસેનાની મદદથી પાણીનો છંટકાવ અને કુત્રિમ વરસાદ કરવાની અપીલ કરી છે. ઑડ-ઈવન ફૉર્મ્યુલા અંતર્ગત આજે રાજધાનીના રોડ પર ઑડ નંબરોની કાર્સ ચાલશે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા મુજબ સવારે દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં પીએમ ૨.૫ના સ્તર ૫૦૦(ગંભીર) અને પીએમ ૧૦નું સ્તર ૪૧૩(ગંભીર) રહ્યું. સોમવારે પીએમ ૨.૫નું સ્તર ૭૦૩ હતું. દિલ્હીમાં સરેરાશ એક્યુઆઈ ૩૭૦, ગુડગાંવમાં ૩૯૬, ગાઝિયાબાદમાં ૩૯૨, નોઈડામાં ૩૯૪ નોંધાયું હતું. અહીં પ્રદૂષણની ખૂબ જ ખરાબ સ્થિતિ છે. જ્યારે સોમવારે આનંદવિહારમાં એક્યુઆઈ ૪૯૧ અને આઈટીઓમાં ૪૩૪ રેકૉર્ડ થયો જે પ્રદૂષણની ગંભીર સ્થિતિ હતી. જ્યારે રવિવારે વિઝિબિલિટી ઘટવાથી દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૩થી ૩૭ ફલાઈટ્સને જયપુર, અમૃતસર અને લખનઉ ડાઇવર્ટ કરવી પડી હતી.