કિરીટ સોમૈયાને જાનથી મારી નાખવાની ધમકી
કિરીટ સોમૈયા
બીજેપીના નેતા કિરીટ સોમૈયાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળતાં તેમણે આ બાબતે મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે. ફરિયાદમાં તેમણે કહ્યું છે કે ૧૨ જાન્યુઆરીથી અમુક અજાણ્યા નંબર પરથી મને ફોન આવી રહ્યા છે અને ફોન કરનારી વ્યક્તિ મને ગાળો ભાંડી રહી છે તેમ જ મને મારી નાખવાની ધમકી આપી રહી છે. જોકે ગઈ કાલે તેમને જે ફોન આવ્યો હતો એમાં ફોન કરનારી વ્યક્તિએ કહ્યું હતું કે ‘તું... મંત્રી, ધનંજય મુંડે, સરકાર ચા વિરુદ્ધ બોલને થાંબવિલે નાહીં તર સહા ચા સહા ગોળ્યા તુઝ્યા ડોક્યાત ઘાલનાર/મારનાર (એટલે કે જો તું, મંત્રી, ધનંજય મુંડે તથા સરકારની ખિલાફ બોલવાનું બંધ નહીં કરો તો છએ છ ગોળી તારા લમણામાં ઝીંકી દેવામાં આવશે).’
આ બાબતની ફરિયાદ તેમણે મુંબઈના જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ (લૉ ઍન્ડ ઑર્ડર) વિશ્વાસ નાંગરે પાટીલને કરી છે. આ બાબતમાં કિરીટ સોમૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે દિવસ પહેલાં આ સંદર્ભની ફરિયાદ એનસીપીના નેતા શરદ પવારને કરવામાં આવી હતી. આ ફરિયાદમાં શરદ પવારને મેં કહ્યું હતું કે આ ધમકીઓને રોકવામાં આવે. જે પણ આ કરતું હોય તેનામાં હિમંત હોય તો સામે આવીને લડવું જોઈએ.’