મુંબઈમાં પણ બર્ડ ફ્લુની ઍન્ટ્રી, પણ ચિંતાની જરૂર નથી: સરકાર
સાઉથ મુંબઈની ચિકન માર્કેટમાં ભીડ ઓછી થઈ હોવાની દુકાનદારની કબૂલાત (તસવીર: બિપિન કોકાટે)
મહારાષ્ટ્રના પરભણી, મુંબઈ, થાણે, બીડ અને દાપોલીમાં જુદાં-જુદાં પક્ષીઓનાં મોત બર્ડ ફ્લૂના કારણે થયાંની ભોપાલ સ્થિત લેબના ટેસ્ટ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે, તેમ રાજ્ય સરકારના એક સિનિયર અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બર્ડ ફ્લૂના કારણે પક્ષીઓમાંથી માણસોમાં વાઇરસનું સંક્રમણ જ્વલ્લે જ થાય છે, તેમ રાજ્યના પશુપાલન વિભાગના સચિવ અનુપકુમારે જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ પૉલ્ટ્રી ફાર્મમાં બાયો-સેફ્ટીનાં પગલાં વધારી રહ્યાં છે, જેથી વન્ય પક્ષીઓ સાથે સંપર્ક ન રહે.
ADVERTISEMENT
થાણે અને મુંબઈના ચેમ્બુરમાં મરેલી હાલતમાં પક્ષીઓ મળી આવ્યા બાદ ગઈ કાલે સાંજે ઘાટકોપર ઇસ્ટના ગારાડિયા નગરમાંથી પણ બે કાગડાં મરેલી હાલતમાં મળી આવતાં રહેવાસીઓમાં ગભરાટ ફેલાય ગયો હતો.
પરભણીના કલેક્ટર દીપક મુગલીકરે જણાવ્યું હતું કે મુરુમ્બા ગામના એક પૉલ્ટ્રી ફાર્મમાં લગભગ ૯૦૦ મરઘાંનાં મોત બર્ડ ફ્લૂથી થયાં હોવાની પુષ્ટિ થઈ છે અને જિલ્લા વહીવટી તંત્રએ ગામનાં આશરે ૮૦૦૦ પક્ષીઓની કતલ કરવાનો નિર્ણય કર્યો છે.