ભિવંડીની બિલ્ડિંગ-હોનારતનું બચાવકાર્ય પૂર્ણ ૩૮ મોત, ૧૯ ઈજાગ્રસ્ત:થાણે
ભિવંડીની બિલ્ડિંગ-હોનારતનું બચાવકાર્ય પૂર્ણ ૩૮ મોત, ૧૯ ઈજાગ્રસ્ત:થાણે
ભિવંડીમાં નારપોલીના પટેલ કમ્પાઉન્ડમાં આવેલી જિલાની ઇમારત સોમવારે પરોઢિયે ૩.૩૦ વાગ્યે તૂટી પડી હતી. એનું બચાવકાર્ય ગઈ કાલે ગુરુવારે સવારે ૧૧.૩૦ વાગ્યે આટોપી લેવાયું હતું. આ દુર્ઘટનામાં કુલ ૩૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૯ જણ ઘાયલ થયા હતા. કામ આટોપી લીધા બાદ પોલીસ અને ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઘટનાની જાણ થતાં સૌથી પહેલાં સ્થાનિક લોકો મદદ માટે દોડ્યા હતા. તેમણે બની શકે એટલો કાટમાળ દૂર કરી લોકોને બહાર કાઢ્યા હતા. એ પછી સ્થાનિક ફાયરબ્રિગેડ, પોલીસ અને ટીડીઆરએફ (ધ થાણે ડિઝૅસ્ટર રિસ્પૉન્સિબલ ફોર્સ)ના જવાનોએ રેસ્ક્યુ ઑપરેશન શરૂ કર્યું હતું એ પછી એનડીઆરએફની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને બચાવકાર્યમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વરસતા વરસાદમાં પણ કામ ચાલુ રાખવામાં આવ્યું હતું અને જેસીબીની મદદથી કૉન્ક્રીટના સ્લૅબના હેવી ટુકડા હટાવાયા હતા. લોખંડના સળિયા અને જાળી કાપવા ગૅસ-કટરનો ઉપયોગ થયો હતો. કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી કાઢવા સ્નિફર ડૉગની પણ મદદ લેવાઈ હતી. સાડાત્રણ દિવસની કાર્યવાહી બાદ ગુરુવારે સવારે ૧૧,૩૦ વાગ્યે એ કામ આટોપી લેવાયું હતું. આ વિશે માહિતી આપતાં નારપોલી પોલીસે જણાવ્યું હતું કે થાણે શહેર પોલીસ દળ વતી ભિવંડીની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એ વખતે થાણે પોલીસ, ફાયરબ્રિગેડ, ટીડીઆઇએફ અને એનડીઆરફના જવાનો સહિત સ્નિફર ડૉગ પણ હાજર હતા.