ભાઈંદર : પોલીસચોકીનો દુરુપયોગ થતો હોવાથી બંધ કરાશે
ભાઈંદર-વેસ્ટમાં રાધાસ્વામી સત્સંગ રોડ પરના નાગરેખ મીઠાઘર વિસ્તારમાં પોલીસોને આરામ કરવા તેમ જ બેસવાની જગ્યા માટે પોલીસ નિવારા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું, પણ આજે પોલીસો નહીં પણ ચોરો અને અસામાજિક તત્વો જ એનો ઉપયોગ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
પોલીસના બેસવા તેમ જ આરામ કરવા માટે બનાવવામાં આવેલા આ પોલીસ નિવારા કેન્દ્રમાં રહેલી મોટા ભાગની વસ્તુઓની ચોરી થઈ ગઈ છે. આ ચોકીની અંદરથી પંખાથી લઈને ટ્યુબલાઇટ અને ઇલેક્ટ્રિક ર્બોડની પણ ચોરી થઈ ગઈ છે. આમ છતાં પોલીસને આ વિશે કોઈ પણ પ્રકારની માહિતી નથી. ભાઈંદર-વેસ્ટના અંદરના વિસ્તારમાં આવેલા આ પોલીસ નિવારા કેન્દ્રનો દરવાજો અને બારીઓ હંમેશાં બંધ જોવા મળે છે. પોલીસ દ્વારા એનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવામાં આવતો નથી, પણ તેમના દુર્લક્ષને કારણે આ કેન્દ્રની આજે આ દુર્દશા છે. આ ઉપરાંત અંદર ગંદકી પણ એટલી જ જોવા મળે છે.
વળી આ કેન્દ્રમાં ન તો ત્યાં બેસવાની કોઈ સગવડ છે, ન તો પીવા માટે પાણી છે. બારીઓ તૂટી ગઈ હોવાથી ચોરો અને અસામાજિક તત્વો અંદર ઘૂસીને એનો ખુલ્લેઆમ ઉપયોગ કરતાં હોય છે.
પોલીસનું શું કહેવું છે?
ભાઈંદર પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર સુધીર કુડાલકરે મિડ-ડે LOCALને આ સંદર્ભે કહ્યું હતું કે ‘મને આ વાતનો જરાય અંદાજ નથી, પણ આ વાતની ચોક્કસ તપાસ કરવામાં આવશે અને ટૂંક સમયમાં કંઈ ને કંઈ કરવામાં આવશે. ઉપરાંત સ્ટાફ ઓછો હોવાથી પોલીસ એક જગ્યાએ બેસી રહેવાથી પૅટ્રોલિંગ કરતા હોય છે એટલે આ ચોકીનો ઉપયોગ નથી થતો એ વાત સાચી છે.’
ભાઈંદર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ વડકેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ વાતનો મને કોઈ અંદાજ નથી. એમ છતાં તમે અમારું આ બાબતે ધ્યાન દોર્યું છે તો હું સંબંધિત લોકોને આ વિશે જાણ કરીશ. પોલીસ દ્વારા આ ચોકીનો ઉપયોગ થતો ન હોવાથી આ વિસ્તારમાં ચાલતો સત્સંગનો કાર્યક્રમ ખતમ થયા બાદ તરત જ એને બંધ કરી દેવામાં આવશે.’
- પ્રીતિ ખુમાણ