ગૃહિણીઓને પડતા પર પાટુ, શાકભાજીની સાથે કઠોળના ભાવ પણ વધ્યા
વધી રહ્યા છે શાકભાજીના ભાવ
તહેવારોની સીઝન શરૂ થતાંની સાથે જ ગૃહિણીઓ પર મોંઘવારીનો પહેલો કોરડો વિંઝાઈ ગયો છે. દેશભરમાં ધોધમાર વરસાદ બાદ અલગ-અલગ રાજ્યોમાંથી આવતી શાકભાજીની આવક ઓછી થતાં જ ભાવ આસમાને પહોંચી ગયા છે. એપીએમસીમાં પણ જથ્થામાં આવતી શાકભાજી મોંઘી આવી રહી છે અને છૂટક બજારોમાં શાકભાજીનો વેપાર કરતા વેપારીઓ પોતાનું કમિશન વધારીને વધુ નફો રઝળી રહ્યા છે.
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજીના ભાવ ટ્રાન્સપોર્ટેશનના ગલ્લાતલ્લાને લઈને આસમાને પહોંચ્યા છે. હેલ્થની દૃષ્ટિએ થાળીમાં લીલું શાક હોવું એ આવશ્યક હોય છે, ત્યારે લીલાં શાકભાજી મોંઘાં છે અને ગૃહિણીઓ શાક વગર હવે રસોઈ બનાવતી થઈ છે. અલબત્ત લીલોતરી શાકના વિકલ્પ તરીકે ગૃહિણીઓ કઠોળનો ઉપયોગ કરે છે. પરંતુ હવે પડતા પર પાટુ પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેમ કે હવે લીલાં શાકની સાથે ક્યાંકને ક્યાંક કઠોળ પણ મોંઘા થયા છે. બજારભાવ કરતાં કઠોળના ભાવમાં વધારો થવાથી ગૃહિણીઓ માટે રસોઈમાં શું બનાવવું તેવો એક વેધક પ્રશ્ન ઊભો થયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....
ગુજરાતમાં વરસાદને લઈને પરિસ્થિતિ બગડી છે, ત્યારે ખાસ કરીને લીલી શાકભાજી બજારમાં હવે મોંઘી મળતી થઈ છે. શાકભાજીના વિકલ્પ તરીકે હવે ક્યાંકને ક્યાંક ગૃહિણીઓ કઠોળનો વપરાશ કરી રહી છે ત્યારે કઠોળના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ગુજરાતનાં અનેક શહેરોમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ તમામ જીવનજરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે.