દેશમાં લૉકડાઉન છતાં બૅન્કોનું વિલીનીકરણ થશે
પ્રતીકાત્મક તસવીર
સરકારે કહ્યું છે કે બૅન્કોના વિલયની યોજના હાલ પાટા પર છે અને એક એપ્રિલથી તેના પર અમલ શરૂ થઈ જશે. હાલ કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં લૉકડાઉનની સ્થિતિ બની છે તેમ છતાં પણ આ બૅન્કોનો વિલય કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે કેન્દ્રીય પ્રધાનમંડળે આ મહિનાની શરૂઆતમાં જ સાર્વજનિક ક્ષેત્રની ૧૦ બૅન્કોનું મર્જ ચાર બૅન્કમાં કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
આ અંગે જ્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથે વાત કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે બૅન્કોના મર્જની પ્રક્રિયાની કોઈ સમયસીમા વધારવામાં આવી નથી. બૅન્કના મામલાઓના સચિવ દેવાશિષ પાંડાએ જણાવ્યું હતું કે વિલયની પ્રક્રિયા પર હાલ કામ ચાલુ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બૅન્કિંગ ક્ષેત્ર કોરોનાની મહામારીના પડકારને પાર પાડી લેશે.