બાળાસાહેબ ઠાકરે ફ્લાયઓવરના એક્સટેન્શન માટે રહીશોએ પત્ર પાઠવ્યો
(ફાઇલ ફોટો) તસવીર સૌજન્ય સમીર માર્કન્ડેય
લોખંડવાલા-ઓશિવરા સિટિઝન્સ અસોસિએશન (એલઓસીએ)ના સભ્યોએ યુવાસેનાના પ્રમુખ અને મુંબઈનાં સબર્બ્સના ગાર્ડિયન મંત્રી આદિત્ય ઠાકરેને ચાલુ સપ્તાહના પ્રારંભે પત્ર પાઠવીને તેમને લાંબા સમયથી વિલંબમાં મુકાયેલા બાળાસાહેબ ઠાકરે ફ્લાયઓવર પ્રોજેક્ટને આગળ ધપાવવાની ભલામણ કરી હતી. આ પ્રોજેક્ટ સંપન્ન થતાં આ વિસ્તારના રહીશો માટે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુલભ થઈ જશે અને ત્યાં સુધી પહોંચવા માટે લાગતો અડધા કલાકનો સમય ઘટીને દસ મિનિટ થઈ જશે.
એલઓસીએએ એના પત્રમાં જણાવ્યું છે કે વર્તમાન સમયમાં જોગેશ્વરીમાં ડબ્લ્યુઈ હાઇવેને એસ. વી. રોડ સાથે સાંકળતો બાળાસાહેબ ઠાકરે ફ્લાયઓવર (લોખંડવાલા અને ઓશિવરા નજીક)ને લિન્ક રોડ ખાતે એક્સટેન્શન મળવાનું હતું, જે કાર્ય એક દાયકાથી વિલંબમાં મુકાયું છે. બાળાસાહેબ ઠાકરે ફ્લાયઓવર પહોંચવા માટેનો સૌથી ટૂંકો માર્ગ હાલમાં ‘સિંગલ, આડોઅવળો માર્ગ છે’ અને એ માર્ગ પર ઠેર-ઠેર અતિક્રમણો કરવામાં આવ્યાં છે એની નોંધ કરતા પત્રમાં જણાવાયું છે કે ‘અમે ઇચ્છીએ છીએ કે તમે લાંબા સમયગાળાથી ઢીલમાં મુકાયેલા આ પ્રોજેક્ટને આગળ ધપાવો, કારણ કે અંધેરીના રહીશો માટે આ એક મહત્ત્વની કડી છે. રહીશોને અત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ વે પહોંચવા માટે 30થી 40 મિનિટનો સમય લાગે છે. જો આ એક્સટેન્શન કરવામાં આવશે તો મુસાફરીનો સમય ઘટીને માત્ર પાંચથી દસ મિનિટનો થઈ જશે.’