શિવસેના અને BJPને ફરી એક કરશે ઠાકરે?
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી
શિવસેના-BJPના જોડાણ માટે ‘ઠાકરે’ ફિલ્મ ગેમચેન્જર સાબિત થઈ શકે છે. એક સમયે BJPને આ જોડાણમાં ભંગાણ વર્તાઈ રહ્યું છે ત્યારે શિવસેનાના વડા બાળ ઠાકરેના જીવન પર બનેલી આ ફિલ્મનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે સ્પેશ્યલ સ્ક્રીનિંગ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. BJP અને નરેન્દ્ર મોદીની સતત કરનારા ‘સામના’ના તંત્રી સંજય રાઉત આ ફિલ્મના પ્રોડ્યુસર છે અને એમ છતાં આ સ્પેશ્યલ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નિર્માતા અને શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે આ વાતનું સમર્થન કરતાં ‘મિડ-ડે’ને લખનઉથી ફોન પર કહ્યું હતું કે ‘અમે તમામ સંસદસભ્યો માટે દિલ્હીમાં બાળ ઠાકરે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ કરવાના છીએ. અમારી યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ કરવાનું પણ સમાવિષ્ટ છે. ફિલ્મના નિર્માતા અને અન્ય સભ્યો હાલમાં બાળાસાહેબના જીવન પર બનેલી આ ફિલ્મના પ્રમોશન માટે ઉત્તર પ્રદેશમાં છે. સ્પેશ્યલ સ્ક્રીનિંગ માટે સ્થળ અને સમય હજી નક્કી કરાયાં નથી, પરંતુ સંસદમાં એક થિયેટર છે જ્યાં આ સ્ક્રીનિંગ થઈ શકે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિભવનમાં પણ કરી શકાય એમ છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો : કૉંગ્રેસની નજર હતી ઇન્દુ મિલની જમીન પર : દેવેન્દ્ર ફડણવીસ
હિન્દુત્વના એજન્ડા પર થયેલું બન્ને પક્ષોનું જોડાણ જ્યારે તૂટવાની અણી પર છે ત્યારે સ્પેશ્યલ સ્ક્રીનિંગની વાતે ઘણા લોકોનાં ભવાં ચડી ગયાં છે. મુંબઈથી શિવસેનાના વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે ‘BJP અને સેનાના નેતાઓ આ વાતથી નાખુશ હોઈ શકે છે. જોકે વડા પ્રધાન મોદી માટે એવું ન પણ હોઈ શકે. બન્ને પક્ષો વચ્ચે પ્રવર્તી રહેલી તંગદિલી છતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગયા અઠવાડિયે મુંબઈમાં યોજાયેલા ’ઠાકરે’ના ટ્રેલર-લૉન્ચમાં હાજર રહ્યા હતા. બાળાસાહેબે હંમેશાં હિન્દુત્વ અને રાષ્ટ્રીય હિતને આગવું મહત્વ આપ્યું છે અને મોદીનું પણ આ જ વલણ છે. આથી જ તેમને હંમેશાં સેનાના દિવંગત નેતા માટે આગવું માન રહ્યું છે.’