‘નિશાન-એ-પાકિસ્તાન’ને લાયક છે સુશીલકુમાર શિંદે : બાળ ઠાકરેનો ટોણો
શિવસેનાના મુખપત્ર ‘સામના’માં આ બાબતે તીખી પ્રતિક્રિયા આપતાં બાળ ઠાકરેએ કહ્યું છે કે તેમનો આ રોષ રાજકીય નથી, પણ દેશપ્રેમને કારણે છે. તેમણે ક્રિકેટરોને પણ બિઝનેસમેન ગણાવ્યા હતા અને તેમને આડે હાથે લીધા હતા. તેમણે સુશીલકુમાર શિંદેને કહ્યું હતું કે ‘જો પાકિસ્તાની સિંગર્સ અને ખેલાડીઓની રક્ષા કરવી એ તમારી જવાબદારી છે તો દેશના નાગરિકોની પાકિસ્તાની ટેરરિસ્ટોથી રક્ષા કરવી એ શું તમારી જવાબદારી નથી? અજમલ કસબ, અફઝલ ગુરુ અને અબુ જુંદાલ એ ટેરર અટેક કરનાર ટ્રેઇન્ડ ઍક્ટરો છે. તેમને તમે બહુ જ સુરક્ષા આપીને જીવતા રાખ્યા છે. તમને તો નિશાન-એ-પાકિસ્તાનનોે ખિતાબ આપવો જોઈએ. આ બધો રૂપિયાનો ખેલ છે. એક પણ ક્રિકેટરે આ ટૂરનો વિરોધ કર્યો નથી એ દુ:ખની વાત છે. ટેરરિસ્ટો નિર્દોષ લોકોના જીવ લે છે. સરહદ પર જવાન તેમના જાન કુરબાન કરે છે, પણ ક્રિકેટરના લિબાસમાં આ પાકા બિઝનેસમેનોને પાકિસ્તાનીઓ સામે ક્રિકેટ મૅચ રમવી છે.’
બાળ ઠાકરેએ ગયા અઠવાડિયે ધમકી આપતાં કહ્યું હતું કે તેમના સમર્થકો પાકિસ્તાન સામેની આ મૅચો થવા નહીં દે.