અયોધ્યા વિવાદના ચુકાદા પૂર્વે જડબેસલાક પોલીસ બંદોબસ્ત
ફાઈલ ફોટો
અયોધ્યામાં રામમંદિર અને બાબરી મસ્જિદના વિવાદના કેસનો ચુકાદો નજીકના ભવિષ્યમાં આવવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બહુસ્તરીય ઉપાયો કરવામાં આવ્યા છે. જડબેસલાક બંદોબસ્તના ભાગરૂપે વરિષ્ઠ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. સંવેદનશીલ ઇલાકામાં સામાન્ય કરતાં વધારે પોલીસ ટુકડીઓ ગોઠવવામાં આવી છે.
૧૭ નવેમ્બરે સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની નિવૃત્તિ પૂર્વે અયોધ્યા કેસના ચુકાદાની સંભાવવાને કારણે મુંબઈ શહેરના દરેક વિસ્તારમાં ગયા રવિવારે અને ત્યારપછી મહોલ્લા કમિટીઓની બેઠકો યોજવાની સૂચના વિવિધ પોલીસ સ્ટેશનોના સિનિયર ઇન્સ્પેક્ટર્સ અને અસિસ્ટન્ટ કમિશનર્સને આપવામાં આવી હતી. પોલીસ જવાનોની આઠ કલાકની ડ્યુટી લંબાવીને બાર કલાકની કરવામાં આવી છે. અફવાઓ અને અનિચ્છનીય ઘટનાઓ ટાળવા માટે સોશ્યલ મીડિયા પર નિગરાણી રાખવામાં આવે છે.