આસામ સરકાર લગ્નમાં નવવધૂઓને ફ્રીમાં એક તોલા સોનું આપશે
પ્રતિકાત્મક તસવીર
આસામની સરકારે અરુંધતિ યોજના અંતર્ગત દુલ્હનને એક તોલા સોનું આપવાની જાહેરાત કરી છે. ગુવાહાટીમાં યોજાયેલી કૅબિનેટ બેઠકમાં મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલે આ યોજનાને મંજૂરી આપતાં દુલ્હનનાં માતા-પિતાને મફતમાં એક તોલુ સોનું આપવાની જાહેરાત કરી છે.
જોકે, આ યોજનાનો લાભ તે પરિવાર જ ઉઠાવી શકે છે જે આર્થિક રીતે કમજોર છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ યોજના આ વર્ષે રાજ્યના બજેટમાં પ્રસ્તાવિત હતી. બાળલગ્ન નિષેધ અધિનિયમ અંતર્ગત અરુંધતિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં બાળલગ્નની સંખ્યાને ઓછી કરવાનો છે. બાળલગ્ન નિષેધ અધિનિયમ અનુસાર ભારતમાં કોઈ પણ યુવતીનાં લગ્ન ૧૮ વર્ષથી પહેલાં અને યુવકનાં લગ્ન ૨૧ વર્ષથી પહેલાં થઈ શકે નહીં.
જોકે, આ યોજનાનો લાભ કોઈ પણ જાતિ, પંથ, ધર્મને માનતા પરિવાર લઈ શકે છે જેની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી છે. કૅબિનેટ બેઠકમાં સરકારે તમામ સરકારી ઑફિસો અને કામકાજનાં સ્થળો પર ફરજિયાત સેનેટરી નેપ્કિન રાખવાનો પણ નિર્ણય લીધો છે. આ નિર્ણય કામકાજના સ્થળ પર મહિલાઓમાં વ્યક્તિગત સાફ-સફાઈને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.