રૂપાણીને કોઈ મુખ્યપ્રધાન ગણે છે કે નહીં એ ગુજરાતની જનતાને પૂછોઃ કૉન્ગ્રેસ
વિજય રૂપાણીના કૉન્ગ્રેસમાં આંતરિક વિખવાદના નિવેદન પર કૉન્ગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પલટવાર કર્યો હતો. અમિત ચાવડાએ પલટવાર કરતાં કહ્યું, રાજ્યસભાની ચૂંટણી પહેલાં વિજય રૂપાણીને ટેન્શન છે. રાત્રે ઊંઘ નહીં આવી હોય એટલે સવારે ઊઠીને આવું નિવેદન કર્યું હોય એમ લાગે છે.
અમિત ચાવડાએ કહ્યું, ‘ગુજરાતની જનતાને પણ પૂછવામાં આવે. સરકારમાં બેઠેલા મંત્રીથી અધિકારીઓને પણ પૂછવામાં આવે. અડધી સરકાર કોણ ચલાવે છે એ બધા જાણે છે. કયા રિમોટ કન્ટ્રોલથી દેશ ચાલે છે એ બધા જાણે છે. અડધી પીચે રમીને ભ્રષ્ટાચાર નાબૂદ કરો. ખેડૂતોની ચિંતા કરવાની જરૂર છે. રાજકોટમાં ગાંધીજીએ સ્થાપેલી સ્કૂલમાં દારૂ પકડાય એની ચિંતા કરવાની જરૂર છે.'
ADVERTISEMENT
વિજયભાઈ અમારા મુખ્ય પ્રધાન છે અને રહેવાના છેઃ પ્રદીપસિંહનો કૉન્ગ્રેસને જવાબ
અમિત ચાવડાના નિવેદન પર ગૃહપ્રધાન પ્રદીપ જાડેજાએ સણસણતો જવાબ આપ્યો છે. પ્રદીપ સિંહે જવાબ આપતાં પહેલાં કૉન્ગ્રેસના ધારાસભ્યો અને અમિત ચાવડાને આડે હાથ લીધા હતા. મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસના કાંકરા ખરવા માંડ્યા છે. વીરજીભાઈ નીતિનભાઈ માટે કહેતા હતાને? પણ અમારે ત્યાંથી નેતા તો શું સામાન્ય કાર્યકર પણ ક્યાંય જશે નહીં. તમારી બેઠકમાં નેતાને બદલવા માટે કેટલા ધુમાડા થાય છે એની ગામ આખાને ખબર છે. હુ ડંકાની ચોટ પર કહું છુ કે વિજયભાઈ અમારા મુખ્ય પ્રધાન છે અને રહેવાના છે.