કેજરીવાલે મોદીને શપથવિધિમાં પધારવા માટે નિમંત્રણ પાઠવ્યું
અરવિંદ કેજરીવાલ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મળ્યા બાદ ૧૬ ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાનમાં મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કરશે. હવે શપથગ્રહણ સમારંભમાં કોને-કોને આમંત્રણ અપાશે એના પર સૌની નજર છે. શું કેજરીવાલ નરેન્દ્ર મોદીને શપથવિધિમાં હાજર રહેવા આમંત્રણ આપશે કે નહીં એની અટકળોનો અંત આવી ગયો છે. કેજરીવાલની શપથવિધિ માટે નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી (આપ)ને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી ટર્મમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે. આ વખતે આપનો ૬૨ બેઠક પર વિજય થયો છે, જ્યારે બીજેપીને ફક્ત ૮ બેઠકો જ મળી છે અને કૉન્ગ્રેસને ૨૦૧૫ની જેમ ઝીરો બેઠક મળી છે. મોદીએ દિલ્હીનાં ચૂંટણી-પરિણામ બાદ કેજરીવાલને જીત મળ્યા બદલ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીવાસીઓની અપેક્ષાઓને પૂર્ણ કરશે.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા બાદ કેજરીવાલે પણ તેમનો આભાર માન્યો હતો. કેજરીવાલે કેન્દ્ર સાથે મળીને કામ કરવા માટે ઇચ્છા વ્યક્ત કરી હતી.